કોલસા અને યૂરેનિયમની ખાણ માટે પ્રખ્યાત ઝારખંડના ચૂંટણી પરિણામોમાં ભાજપ હારની તરફ આગળ વધતી દેખાઇ રહી છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળુ વિપક્ષી મહાગઠબંધન આ ભગવા કિલ્લા પર ફતેહ માટે ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. લગભગ 5 વર્ષ સુધી સરકાર ચલાવનારા મુખ્યમંત્રી રઘુબર દાસને ચૂંટણી પરિણોમાં જનતાની નારાજગી ભારે પડતી દેખાઇ રહી છે.
અહીં જાણીએ, કે ઝારખંડની ચૂંટણીમાં કેમ ભાજપનો દાવ ઉલટો પડી ગયો.
સહયોગીઓથી અલગ થવુ પડ્યું ભારે
વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ પોતાની સહયોગી ઑલ ઝારખંડ સ્ટૂડેન્ટ યૂનિયન (AJSU)ની સાથે મળીને ચૂંટણી લડી હતી. બીજેપીને 37 અને એજેએસયૂને 5 બેઠક મળી હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ પોતાની સહયોગી પાર્ટીથી અલગ થઇને એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. બીજેપીનો આ નિર્ણય તેના પર ભારે પડી ગયો.
વિપક્ષે બનાવ્યું મહાગઠબંધન
ઝારખંડમાં એક તરફ જ્યાં બીજેપીએ સહયોગી પાર્ટીઓથી અલગ થઇને ચૂંટણી લડી, જ્યારે વિપક્ષે એકજુટ થઇને ચૂંટણી લડી અને બીજેપીના કિલ્લાને ધ્વસ્ત કરી દીધો. ઝારખંડ મુક્તિ મોરચા, આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધને બેઠકોની વહેંચણી કરી ચૂંટણી લડી. તથા બીજેપીના એકલા સરકાર બનાવવાના ઇરાદા પર પાણી ફેરવી દીધુ. ચૂંટણી પરિણામોમાં વિપક્ષ રાજ્યમાં પૂર્ણ બહુમતી મેળવતા દેખાઇ રહી છે.
પોતાના જ નેતાઓએ આપ્યો ઝટકો
ઝારખંડ ચૂંટણી પહેલા બીજેપીના મોટા નેતા રાધાકૃષ્ણ કિશોરે પાર્ટીથી છેડો ફાડીને એજેએસયૂ સાથે હાથ મિલાવી લીધા. કિશોરનું એજેએસયૂમાં જોડાવુ, બીજેપી માટે મોટો ઝટકો બની રહ્યો. ટિકિટ વહેંચણી દરમિયાન બીજેપીએ વરિષ્ઠ નેતા સરયૂ રાયને ટિકિટ નહોતી આપી, ત્યારે સરયૂ રાયે સીએમ રઘુબર દાસ વિરુદ્ધ જમશેદપુર ઇસ્ટ બેઠકથી ચૂંટણી લડી. અહીં સરયૂ રાય હવે રઘુબર દાસથી આગળ ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્રથી ડરેલી ભાજપનો દાવ ઉલટો પડ્યો
મહારાષ્ટ્રની ઘટનાથી ડરેલી બીજેપીએ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો અને કોઇ પાર્ટી સાથે ગઠબંધન નહોતુ કર્યું. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં બીજેપીએ શિવસેના સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી.
આદિવાસી ચહેરો ન હોવું
ઝારખંડમાં 26.3 ટકા વસ્તી આદિવાસીઓની છે અને 27 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. મહાગઠબંધને જેએમએમના આદિવાસી નેતા હેમંત સોરેનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા, જ્યારે બીજેપી તરફથી બિન આદિવાસી સમુદાયથી આવતા રઘુબર દાસ બીજી વાર સીએમ પદના ઉમેદવાર હતા. ઝારખંડમાં આદિવાસી સમુદાયમાં રઘુબર દાસની નીતિઓને લઇને આદિવાસીઓમાં ઘણો ગુસ્સો હતો.