કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી સરકારની અંદર મંત્રીપદને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે સીએમ પદને લઈને ભાજપ ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
કર્ણાટકના રાજકારણમાં ગરમાવો
યેદિયુરપ્પાને સીએમ પદથી હટાવાય તેવી શક્યતા
ભાજપના જ ધારાસભ્યના નિવેદનથી ચર્ચા
કર્ણાટકમાં મુખ્યમંત્રી યેદિયુરપ્પા સીએમ પદેથી હટાવાય તેવી શક્યતા
કર્ણાટકમાં હાલમાં જ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો છે જે બાદથી રાજકારણ ગરમાયું છે તથા ઘણા બધા નેતાઓ વિરોધમાં સૂર ઉઠાવી રહ્યા છે. એવામાં ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય બાસનગૌડા પાટિલનું નિવેદન રાજ્યમાં મોટા ફેરબદલના સંકેત આપી રહ્યું છે.
''13 એપ્રિલ બાદ કર્ણાટકને નવા સીએમ મળશે''
બાસનગૌડા પાટિલે શનિવારે ફરીવાર કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનના સંકેત દર્શાવ્યા અને કહ્યું કે 13 એપ્રિલે રાજ્યમાં નવા મુખ્યમંત્રી પદભાર સંભાળશે. ઉગાદીના દિવસે રાજ્યમાં નવું વર્ષ મનાવવામાં આવે છે ત્યારે ધારાસભ્યનો દાવો છે કે ઉગાદી બાદ રાજ્યને નવા સીએમ મળી જશે.
ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટિલનું મહત્વનું નિવેદન
નોંધનીય છે કે રાજ્યમાં ઘણા સમયથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે અને ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી ખૂલીને યેદિયુરપ્પાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે દાવો કર્યો છે કે નવો મુખ્યમંત્રી રાજ્યના ઉત્તર ક્ષેત્રથી હશે.
''ઉત્તર કર્ણાટકથી કોઇ મુખ્યમંત્રી બનશે''
તેમણે કહ્યું કે મારે અહિયાં હાથ ફેલાવીને મંત્રીપદ માંગવુ નહીં પડે. મે કહ્યું છે કે અમારો વ્યક્તિ મુખ્યમંત્રી બનીને આવશે અને તે મંત્રીપદ આપી શકે છે. હું કહું છે કે કર્ણાટકમાં નવો સીએમ આવશે, આ થશે જ, માત્ર રાહ જુઓ.
કર્ણાટકના બીજાપુરના ધારાસભ્ય છે બાસનગૌડા પાટિલ
આ પહેલા પણ આ નેતાએ ઓકટોબર મહિનામાં જ દાવો કર્યો હતો કે યેદિયુરપ્પા લાંબા સમય સુધી મુખ્યમંત્રી નહીં રહી શકે છે અને મોવડી મંડળે નક્કી કર્યું છે કે તેમનો ઉત્તરાધિકારી ઉત્તર કર્ણાટકથી હશે.