પાલિતાણાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાલિતાણા ભાજપમાં ગાબડું પડતાં ભાજપ આગેવાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પાલિતાણા નગર પાલિકામાં ચાર ટર્મ પ્રમુખ રહેલાં ભાજપના પ્રવીણ ગઢવી કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે 2 ટર્મ પ્રમુખ રહેલા મયૂર સરવૈયા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હારુનભાઈ રાઠોડ પણ કોંગ્રેસમાં જોડાયા હતા.
તો માળી સમાજના અગ્રણી પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતાં ભાજપમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાં જોડાનાર અગ્રણીઓને ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાંથી પરવાર્યા બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગાંધીનગરમાં ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જે મુજબ રાજ્યમાં 17 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.
આ માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 3 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. પુનઃમતદાનના કિસ્સામાં 18 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. સ્થાનિક સ્વારજ્યની ચુંટણીની મતગણતરી 19 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. આ સાથે જ રાજકોટ મહાનગર પાલિકાની ખાલી જગ્યા માટે પેટા ચૂંટણી પણ યોજાશે.