સીએમ રૂપાણીના મંત્રીમંડળમાં વધુ ત્રણ મંત્રીનો સમાવેશ થયો છે. જવાહર ચાવડાએ કેબિનેટ કક્ષાના મંત્રી તેમજ યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે ત્રણે મંત્રીઓએ પક્ષ અને પોતાના મત વિસ્તારના લોકોનો આભાર માન્યો છે. સાથે જ લોકસભામાં 26 સીટ મેળવવાનો દાવો કર્યો હતો. મહત્વનું છે કે, બે ધારાસભ્યોએ કોંગ્રેસને રામ રામ કહી દીધા છે. જેમાના એક છે જવાહર ચાવડા જેમને રૂપાણી સરકાર દ્વારા કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ભાજપમાં નારાજગી વધી
ત્યારે મંત્રીમંડળના વિસ્તરણ અને કોંગ્રેસના નેતાઓને મંત્રી બનાવવાની ઘટના વચ્ચે ભાજપમાં નારાજગી વધી છે. ભાજપના કેટલાક નેતાઓ નારાજ છે. જેમાં ગારિયાધરના ભાજપના ધારાસભ્ય કેશુ નાકરાણી નારાજ હોવાની વાત સામે આવી રહી છે. મંત્રીમંડળમાં સ્થાન ન મળતા કેશુ નાકરાણી નારાજ છે. કારણ કે, કેશુ નાકરાણી છ ટર્મથી ગારિયાધરથી ચૂંટાઇ રહ્યા છે ત્યારે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી. જેને લઈને તેઓ નારાજ ચાલી રહ્યા છે. પરંતુ VTV સાથે ટેલિફોનિક વાતચીતમાં નાકરાણીએ ખુલાસો કર્યો છે કે હું મારા પક્ષથી નારાજ નથી. પક્ષ જે નિર્ણય લે એ મારા માટે શિરોમાન્ય રહેશે.
પક્ષથી નારાજગીની અટકળો બાદ ધારાસભ્ય કનુ પટેલનું નિવેદન
લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે. તેમ તેમ દરેક પક્ષમાં નારાજગીને લઈને અટકળો વહેતી થઈ છે. ત્યારે હવે ભાજપમાં પણ નારાજગીનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ પટેલના નામની પણ અટકળો વહેતી થઈ હતી. ધારાસભ્ય કનુ પટેલને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા તેઓ નારાજ છે. ત્યારે આ મામલે ધારાસભ્ય કનુ પટેલે પક્ષથી નારાજ ન હોવાનો ખુલાસો કર્યો હતો. તેમજ સમાજની રજૂઆતોને લઈને CM સાથે મુલાકાત કરી હોવાની વાત કરી હતી. ત્યારે કરમશી પટેલ અને કનુ પટેલે મંત્રી પદ માટે માંગણી કરી હતી. કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માગ સાથે મંત્રી મંડળમાં સ્થાન આપવાની માગ કરી હતી.
કરમશી પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા
કરમશી પટેલે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કર્યું હતું. કરમશી પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. ત્યારે કનુ પટેલનો દાવો છે કે, અમદાવાદ જિલ્લા પંચાયત કરમશીના કારણે ટકી રહી છે. એટલે કે, હવે ભાજપમાં પણ નારાજગી શરૂ થઇ ગઇ છે. સાણંદના ધારાસભ્ય કનુ પટેલ કરમશી પટેલના પુત્ર છે.
મધુ શ્રીવાસ્તવ પક્ષથી નારાજ
મંત્રીમંડળના વિસ્તરણનો મામલે ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. ભાજપના વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ ચાલી રહ્યા છે. મંત્રીમંડળમાં સ્થાન ન મળતા મધુ શ્રીવાસ્તવ સવારથી જ લોકોને મળવાનું ટાળી રહ્યાં છે. તેમણે પોતાનો ફોન બંધ કર્યો છે.
મહત્વું છે કે, દર શનિવારે શ્રીવાસ્તવ વાડી વિસ્તારમાં આવેલી તેમની ઓફિસે બેસતા હોય છે ત્યારે મંત્રી મંડળમાં ન સમાવાતા તેઓએ પોતાની ઓફિસે આવવાનું પણ ટાળ્યું છે. મધુ શ્રીવાસ્તવ કેટલાય સમયથી પોતાના મંત્રી પદ માટે લોબિંગ કરી રહ્યા હતા. અગાઉ પણ તેમણે આ મુદ્દે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી.
શપથવિધિને લઈને સી.કે રાઉલજી નારાજ
છેલ્લે છેલ્લે સી.કે.રાઉલજીને મંત્રીપદ નથી મળ્યું. જો કે, સૂત્રોનું માનીએ તો રાહુલજીને ભાજપે લોકસભાની ચૂંટણી લડવાની ઓફર આપી છે. ભાજપ પંચમહાલ લોકસભાની સીટ પરથી રાઉલજીને ઉતારી શકે છે. રાઉલજીનો મંત્રીમંડળમાં સમાવેશ ન થતાં છેલ્લા કેટલાક સમયથી તેઓ નારાજ છે. ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા સાથે સી.કે.રાઉલજી ભાજપમાં જોડાયા હતા.