ઇન્દોરની લોકસભાની બેઠક માટે સૌથી મજબૂત દાવેદાર કૈલાસ વિજયવર્ગીયે આજે સવારે ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે. કૈલાસ વિજયવર્ગીયે ટવિટરના માધ્યમથી આ જાણકારી આપી. તેમણે લખ્યું છે કે ભાજપના પ્રત્યેક કાર્યકરનો સિદ્ધાંત છે કે નેશન ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ અને સેલ્ફ લાસ્ટ. જ્યારે સવાલ દેશ હિત અને પક્ષના હિતનો હોય ત્યારે સ્વયંનું કોઇ મહત્ત્વ રહેતું નથી.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે આખરે મંગળવારે રાત્રે પોતાના ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી દીધી હતી, પરંતુ ભાજપે હજુ પોતાના પત્તાં ખોલ્યાં નથી. આ દરમિયાન ઇન્દોરની લોકસભાની બેઠક માટે સૌથી મજબૂત દાવેદાર કૈલાસ વિજયવર્ગીયે આજે સવારે ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે. કૈલાસ વિજયવર્ગીયે ટવિટરના માધ્યમથી આ જાણકારી આપી.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયે લખ્યું છે કે ઇન્દોરની જનતા, કાર્યકરો અને દેશભરના શુભચિંતકોની ઇચ્છા છે કે હું લોકસભાની ચૂંટણી લડું, પરંતુ અમારા બધાની પ્રાથમિકતા સમર્થ, સમૃદ્ધ ભારત માટે નરેન્દ્ર મોદીને ફરી એક વખત વડા પ્રધાન બનાવવાની છે.
પશ્ચિમ બંગાળની જનતા મોદીજી સાથે ઊભી છે, મારું બંગાળમાં રહેવું એ મારી ફરજ છે, આથી મેં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. આશા છે કે તમે પણ દેશ હિત અને પક્ષ હિતના મારા નિર્ણય સાથે સંમત થશો અને પક્ષ જેમને પણ ઉમેદવાર બનાવશે તેમના વિજય માટે દિલથી મહેનત કરશો એવી મારી માત્ર ઇન્દોરના જ નહીં, પરંતુ સમગ્ર દેશના મતદારોને વિનંતી છે. એનડીએ જેવી મજબૂત સરકાર અને મોદીજી જેવા મજબૂત વડા પ્રધાન માટે મતદાન કરશો.
એટલું જ નહીં ચૂંટણી નહીં લડવાના પોતાના નિર્ણય પાછળ કૈલાસ વિજયવર્ગીયે પક્ષના સિદ્ધાંતોને પણ ટાંકયા હતા. તેમણે લખ્યું છે કે ભાજપના પ્રત્યેક કાર્યકરનો સિદ્ધાંત છે કે નેશન ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ અને સેલ્ફ લાસ્ટ. જ્યારે સવાલ દેશ હિત અને પક્ષના હિતનો હોય ત્યારે સ્વયંનું કોઇ મહત્ત્વ રહેતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષની ૭પ વર્ષની ફોર્મ્યુલા બાદ આઠ વખત સાંસદ રહી ચૂકેલાં સુમિત્રા મહાજને પણ એક પત્ર લખીને ચૂંટણી નહીં લડવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી.