રાજ્યમાં માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો છે. જેને લઈને દીપડાને પકડવા માટે સરકારે સૂચના આપી છે. જેને લઈને વનવિભાગ દ્વાર દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે માનવભક્ષી દીપડાનો આતંક વધતા MLA હર્ષદ રિબડીયા બંદૂક લઇને મેદાને આવ્યા છે. તેમણે ગોળીથી દીપડાને ઠાર મારવાનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ આ મામલે અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે.
વનવિભાગના વર્તન સામે તેમણે ટ્વીટમાં નિશાન સાધ્યું છે. વનવિભાગના દીપડાને ઠાર કરવાની જગ્યાએ પકડવાના નિર્ણયને તેમણે મૂર્ખતાપૂર્ણ ગણાવ્યો છે. ટ્વીટ કરતા તેમણે વનવિભાગ સામે સવાલો ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું કે, દુષ્કર્મ આરોપીઓનું જો એન્કાઉન્ટર થઈ શકે છે તો પછી માનવભક્ષી દીપડાને કેમ છોડી મુકવામાં આવે છે. માણસ સામે સ્વરક્ષણ માટે હત્યા કરવાનો અધિકાર પરંતુ હિંસક પ્રાણી સામે તે ગુનો ગણાય આ ક્યાંયનો ન્યાય ? તો આ મામલે તેમણે જો ફોરેસ્ટવાળા ના સમજે તો લોકોએ આ કામ કરવું જોઈએ તેવો ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. આપને જણાવી દઈએ કે, CM રૂપાણીના નજીકના ગણાતા ડૉ.કાનાબારના આ ટ્વીટની ચર્ચાએ જોર પકડ્યું છે.
જૂનાગઢમાં દિવસે દિવસે દીપડાનો આતંક વધી રહ્યો છે. અત્યાર સુધી દીપડાએ 17 જેટલા લોકોના જીવ લીધા છે. તેમ છતાં વનવિભાગ તેને પકડી શકી નથી. ત્યારે હવે માનવભક્ષી દીપડાને મારવા માટે ધારાસભ્ય હર્ષદ રિબડીયા મેદાને આવ્યા છે. બંદૂક લઈને હર્ષદ રિબડીયાએ દીપડાને માર મારવાનું અલ્ટીમેટમ આપ્યુ છે. 15 દિવસમાં રેવન્યૂ વિસ્તારમાંથી દીપડાને પકડવા માટે અલ્ટીમેટમ અપાયુ છે. દીપડો ન પકડાય તો ધારાસભ્યએ ગોળી મારવાની ચીમકી ઉચ્ચારી છે.