દિલીપ સંઘાણીએ પાટીદાર મુખ્યમંત્રીની માગનું સમર્થન તો કર્યું સાથે જ જણાવ્યું કે, નરેશ પટેલના નિવેદન સામે કોઈ વાંધો નથી, પણ થોડી ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે
દિલીપ સંઘાણીએ બદલ્યું નિવેદન
સંઘાણીએ કર્યું પાટીદાર મુખ્યમંત્રીની વાતનું સમર્થન
થોડી ગેરસમજ હતી તે દૂર થઇ: સંઘાણી
પાટીદાર મુખ્યમંત્રીની માગ મામલે હવે દિલીપ સંઘાણીએ પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. દિલીપ સંઘાણીએ પાટીદાર મુખ્યમંત્રીની માગનું સમર્થન તો કર્યું સાથે જ જણાવ્યું કે, નરેશ પટેલના નિવેદન સામે કોઈ વાંધો નથી. પણ થોડી ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે.
આ અગાઉ સંઘાણીએ જણાવ્યું હતું કે રાજકારણને ધર્મથી દૂર રાખવું જોઈએ. ખોડલધામ લેઉવા પાટીદાર સમાજના ઉત્થાન માટે સ્થપાયું છે. તમને જણાવી દઈએ કે, નરેશ પટેલે પાટીદાર નેતા મુખ્યમંત્રી બને તેવું નિવેદન આપ્યું હતું. હવે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી કોણ બનશે તે પાર્ટી નક્કી કરશે. વહીવટી પ્રક્રીયા મામલે અન્ય સમાજમાં નારાજગી છે. પાટીદાર સમાજના મુખ્યમંત્રી સૌને સાથે રાખનારો હોય તો જરૂર ગૌરવ થાય.
હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા આપ્યું હતું નિવેદન
ખોડલધામ ખાતે પાટીદાર અગ્રણીઓની બેઠક બાદ હાર્દિક પટેલની પોસ્ટ સામે આવી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં પાટીદાર આંદોલનને લઈ નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું કે, મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વટવૃક્ષ બનશે. હાર્દિક પટેલે હેસટેગ પાટીદાર લખીને આ પોસ્ટ કરી હતી.
ગઈકાલે કાગવડ ધામ ખાતે લેઉવા અને કડવા પટેલ અગ્રણીઓની બેઠક બાદ ચેરમેને જણાવ્યું કે, આજની બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ છે. ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ પાટીદાર સમાજના વિકાસ અંગે પણ ચર્ચા કરાઈ હોવાની વાત નરેશ પટેલે કરી હતી.
હવેથી લેઉવા-કડવા નહી હવે પાટીદાર લખાશે: નરેશ પટેલ
તો આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને હવેથી લેઉવા-કડવા નહી હવે પાટીદાર લખાશે. તો નરેશ પટેલે તાજેતરમાં જ રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને લઈને પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરીશું. તો જરૂર પડશે તો ચૂંટણીમાં સારા ઉમેદવારને ટેકો આપવાની પણ વાત તેમણે કરી હતી.
પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવાની નરેશ પટેલે વાત કરી હતી
ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને ખોડલધમના ચેમમેન નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.
નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે : ભીમજી નાકરાણી
ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર બેઠકમાં પાટીદાર અગ્રણી ભીમજી નાકરાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું કે, નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે. હવે પાટીદારો પાસે કેશુબાપા જેવા મજબૂત નેતા નથી. તો ત્રીજા પક્ષને લઇને પણ ભીમજી નાકરાણીએ ચિંતા વ્યક્ત કરી હતી.