ગુજરાતમાં કોરોના સંકટ ઘેરું બનતા રાજ્ય સરકાર સરકાર દ્વારા 20 જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂ અને મેળાવડાઓ પર પ્રતિબંધ મુકવાના આદેશ આપ્યા છે. જો કે, આ નિયમો ભાજપના નેતા જ જાણે નડતા ન હોય તેવા દ્રશ્યો અમરેલીમાં જોવા મળ્યા હતા.
ભાજપના નેતાઓને નથી નડતો કોરોના?
દીકરાના લગ્નમાં અશ્વિન સાવલિયાએ ભીડ કરી એકઠી
અનેક ભાજપના નેતાઓ પણ જોડાયા
ઉલ્લેખનીય છે કે, એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન ન થાય તેવા આદેશ આપી રહ્યા છે તો બીજી તરફ ભાજપના જ નેતા અને અમર ડેરીના અધ્યક્ષ અશ્વિન સાવલીયાના પુત્રના ધામધૂમથી લગ્ન યોજાતા અનેક સવાલો ઉભા થયાં છે.
કોરોનાના કહેર વચ્ચે અમરેલીમાં ભાજપ નેતાના દીકરાનું ફુલેકું યોજાયું હતું અને તેમાં લોકો ડાન્સ કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં કોરોનાને આમંત્રણ દેતા આ તાફયામાં ભાજપના સાંસદ નારણ કાછડીયા ખૂદ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, ગામમાં એક અઠવાડિયામાં 3 જુવાનજોધના મોત થયાં છે થતાં ભાજપના નેતાએ લાજ શરમ નેવે મુકીને લગ્ન યોજ્યા હતા.
પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
એક તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાઇ રહ્યો છે અને સરકારે મેળવડા અને કોરોના સંકટ પર કાબૂ લેવાના પ્રયાસો કરી રહી છે. તો સામાન્ય માણસોના લગ્ન સમારંભમાં સામાન્ય પણ ચૂક જોવા મળે તો પોલીસ મોટી કાર્યવાહી કરતી જોવા મળે છે ત્યારે અમરેલી ભાજપ નેતાના દીકરાના આ ભવ્ય લગ્ન સમારંભને લઈને પોલીસ તંત્ર પણ મૌન સાધતા કામગીરી પર અનેક સવાલો ઉભા થયાં છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 125 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5740 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 361 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 84,126 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 495 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4821 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 85 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1849 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 491 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 475 કેસ, જ્યારે ગ્રામ્યમાં 256 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 397 કેસ અને ગ્રામ્યમાં 119 કેસ નોંધાયા છે.