રાજકોટઃ રાજકોટ ડેરી ફરી એક વખત વિવાદમાં આવી છે. વર્ષ 2009માં બાંધકામ અને ડેરીમાં ભ્રષ્ટાચારને લઇને ભાજપના જ સહકારી આગેવાન બાબુ નસીબ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને હાઈકોર્ટે ડેરીમાં થઈ રહેલી ગેરરીતિ બાબતે સરકાર પાસે ખુલાસો માગ્યો છે.
મહત્વનું છે કે ભાજપ નેતા બાબુ નસીબે પહેલા જ ચેરમેન ગોવિંદ રાણપરિયા દ્વારા ડેરીમાં થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મુદ્દે સહકારી આગેવાનો અને રજિસ્ટાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ આજ સુધી કોઈપણ પ્રકારની તપાસ ન થઈ. જેથી બાબુ નસીબે સમગ્ર મામલાને લઈને હાઈકોર્ટ સુધી પહોંચી ગયા. ત્યારે જોવું રહ્યું કે પોતાના જ નેતાની અરજી સામે રાજ્ય સરકાર શું જવાબ રજૂ કરે છે.
ભાજપના જ સહકારી આગેવાન બાબુ નસીત દ્વારા ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા પર સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે. વર્ષોથી ડેરીમાં ગોવિંદભાઈ રાણપરીયા અને તેમના સાથીઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ફરી એક વખત આક્ષેપો કરવામાં આવ્યા છે.
તાજેતરમાં હાઈકોર્ટે સમગ્ર મામલાને લઈને સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. જોકે આ સમગ્ર મામલાને લઇને આવતા દિવસોમાં રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ભાજપના જ સહકારી આગેવાન બાબુ નસીબ દ્વારા તાજેતરમાં ડેરીમાં વાલ ખૂલ્લો રહી જતા હજારો કિલો ઘી વહી જવાના મામલાને લઈને પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે.