ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદન મુદ્દે ભાજપ નેતા ચૈતન્ય શંભુ મહારાજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અલ્લાહ અને મહાદેવની ક્યારેય સરખામણી ના થાય, હિન્દુ-મુસ્લિમ બન્નેનું અપમાન કર્યું છે
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અવનવા નિવેદનો સામે આવી રહ્યાં છે. એક તરફ વિવાદોનો વંટોળ અને બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે રાજકોટમાં મતદાન યોજાવાનું છે. જેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ચૂંટણી ટાણે ધર્મના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. જે બાબતે ભાજપ નેતા ચૈતન્ય શંભુ મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે.
ઈન્દ્રનીલના નિવેદન મુદ્દે ચૈતન્ય શંભુ મહારાજની પ્રતિક્રિયા
રાજકોટ સભામાં કોંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન મુદ્દે ભાજપ નેતા ચૈતન્ય શંભુ મહારાજે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઈન્દ્રનીલ રાજગુરુએ જાણી જોઈને આ નિવેદન આપ્યું છે. હું આ નિવેદન સખત શબ્દોમાં વખોડુ છું. અલ્લાહ અને મહાદેવની ક્યારેય સરખામણી થઇ શકે નહીં તેમણે કહ્યું કે, કોંગ્રેસ અવાર-નવાર આ પ્રકારના નિવેદનો આપે છે. તેમણે જણાવ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ હિન્દુ-મુસ્લિમ બન્નેનું અપમાન કર્યું છે અને ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ સરદાર વલ્લભભાઈ પટેલનું પણ અપમાન કર્યું છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરૂનું શું હતું નિવેદન
જંગલેશ્વર વિસ્તારમાં બે દિવસ પૂર્વે ઈન્દ્રનીલ રાજ્યગુરુની જાહેરસભા યોજાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'મારા પર મહાદેવ અને અલ્લાહ બંન્નેની દયા છે. મારા મતે અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. જંગલેશ્વરમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને સરખા લાગે છે. મારે બે નારા મારે એક સાથે બોલવા છે હું અલ્લાહ હું અકબર બોલું તમે મહાદેવ બોલજો.'
જે નિવેદન બાદ શું કહ્યું હતું ઈન્દ્રનીલે
તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરેલા રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જે નિવેદન બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે ભાજપ અડધી ક્લીપ ફેરવીને વિવાદ ઉભો કરે છે. મેં જંગલેશ્વરમાં એકતાનની વાત કરી હતી. હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી નવા-નવા મુદ્દાઓ શોધે છે.