વડોદરામાં ભાજપ નેતા રોકડ રૂપિયા સાથે ઝડપાયા તો હિંમતનગરમાં બોગસ મતદાનનો આક્ષેપ થયો છે તેમજ વડોદરાના સાંઠાસાલમાં એકતરફી મતદાનનો આક્ષેપનો મામલો પણ સામે છે.
વડોદરામાં ભાજપ નેતા રોકડ રૂપિયા સાથે ઝડપાયા
હિંમતનગરમાં બોગસ મતદાનનો આક્ષેપ
વડોદરાના સાંઠાસાલમાં એકતરફી મતદાનનો આક્ષેપ
આજે ગુજરાતમાં બીજા તબક્કાની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં હતા. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
વડોદરામાં ભાજપ નેતા રોકડ રૂપિયા સાથે ઝડપાયા
વડોદરામાં ભાજપ નેતા રોકડ રૂપિયા સાથે ઝડપાયોનો મામલો સામે આવ્યો છે. જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન રોકડ રૂપિયા સાથે ઝડપાયા છે. ભાજપ નેતા રાજેન્દ્ર પટેલને ફ્લાઈંગ સ્ક્વોડે ઝડપ્યા પાડ્યાં છે. રાજેન્દ્ર પટેલ વાઘોડિયા બેઠકના ઉમેદવારના ટેકામાં હોવાના આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. રોકડ સાથે ઝડપાયેલા ભાજપ નેતા રાજેન્દ્ર પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
હિંમતનગર બોગસ મતદાનનો આક્ષેપ
હિંમતનગરની મહિલા કોલેજમાં બોગસ મતદાન થઈ રહ્યું હોવાનો એક યુવકે આક્ષેપ કર્યો છે. જ્યારે સવગઢ વિસ્તારનો યુવક મતદાન કરવા માટે ગયો ત્યારે તેનું મતદાન થઈ ગયેલું જાણવા મળ્યું હતું. જેથી યુવકે આ અંગે પ્રિસાઈડિંગ ઓફિસરને જાણ કરી હતી. જે યુવાનના હાથ પર વિલોપ્ય શાહીનું નિશાન પણ ન હતું. ત્રણથી ચાર લોકોનું વોટિંગ થઈ ગયુ હોવાની ફરીયાદ પણ કરી છે.
વડોદરાના સાંઠાસાલમાં એકતરફી મતદાનનો આક્ષેપ
વડોદરાના સાઢાસાલ ગામે મતદાન મથકની બહાર હોબાળો મચ્યો હતો જેમાં એક તરફી મતદાન થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. ડેસર પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો
કાંતિ ખરાડી પર હુમલો
બીજા તબક્કાના મતદાન પહેલા બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો થયાનો મામલો સામે આવ્યો હતો. દાંતા કોંગ્રેસના ઉમેદવાર ડોર-ટુ-ડોર લોકોનો સંપર્ક કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમની ઉપર જીવલેણ હુમલો થયાની માહિતી સામે આવી હતી. આ હુમલો ભાજપના ઉમેદવાર લાઘુ પારધીએ કરાવ્યા હોવાના આરોપ છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રસના કાંતિ ખરાડીએ આ ઘટના પહેલા પોલીસને પત્ર લખી પોતાના ઉપર હુમલાથી આશંકા વ્યક્ત કરી હતી. તેમને પોલીસ પાસે સુરક્ષાની પણ માગ કરી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ પ્રોટેક્શન આપવામાં આવ્યુ નહોતુ. રસ્તા વચ્ચે કોંગ્રેસ ઉમેદવા્ર પર જીવલેણ હુમલો થતાં તેઓ પોતાનો જીવ બચાવવા વાહનમાંથી નીચે ઉતરી ખેતરોમાં નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો કોઈ સંપર્ક ન થતાં કોંગ્રેસના નેતાઓએ કાંતિ ખરાડીના અપહરણની આશંકા વ્યક્ત કરી હતી. બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોચી કાંતિ ખરાડીનો સંપર્ક કરી લીધો હતો.