રાજકોટ મહિલા ભાજપના અગ્રણી અને વોર્ડ નં. 9ના પૂર્વ કોર્પોરેટર રૂપાબેનના અવસાનથી રાજકોટ પંથકમાં શોકની લાગણી છવાઈ છે
રાજકોટ ભાજપને પડી મોટી ખોટ
ભાજપના અગ્રણી અને વોર્ડ નં. 9ના પૂર્વ કોર્પોરેટર રૂપાબેન શિલુનું અવસાન
પૂર્વ સીએમ રૂપાણીએ અર્થીને આપી કાંધ
રાજકોટ ભાજપ મહિલા મોર્ચાના સિનિયર આગેવાન તેમજ બ્રહ્મસમાજના નેતા રૂપાબેન શીલુ લાંબી બીમારી બાદ ગઈકાલે અવસાન પામ્યા હતા.જેમની આજ અંતિમ વિધિ કરવાં આવી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત રાજકોટ ભાજપના મોટા નેતાઑએ પણ હાજરી આપી શ્રદ્ધાજંલિ પાઠવી હતી. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પૂર્વ સીએમ રૂપાણીએ પણ અર્થીને કાંધ આપી હતી. અને પરિવારને સતત સાંત્વના પણ પાઠવી રહ્યા હતા. પરિવારના સભ્યોના આક્રંદ વચ્ચે અર્થી ઉઠતાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. સમાજ સેવા સાથે ભાજપના કાર્યકર તરીકે પણ રૂપાબેન શીલુનું નામ આગળ પળતું હતુ.
રૂપાબેન શિલુને મેયર ન બનાવતા રડી પડ્યા હતા
આપને એ પણ જણાવી દઈએ કે લગભગ 4 વર્ષ અગાઉ જ્યારે સરકારમાં રૂપાણી રાજ હતું ત્યારે ચાલુ મેયરની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવા મેયરના નામોમાં રૂપાબેન શીલુનું નામ સૌથી આગળ હતું પણ છેલ્લી ઘડીએ બીનાબેન આચાર્ય મેયર બનાવતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગ્યા હતા.
રાજકોટમાં રૂપાબેન શીલુની રાજકિય સફર
ફાયર સમિતિના પૂર્વ ચેરમેન
શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન
ભાજપના મહિલા અગ્રણી
માધવ શરાફી સહકારી મંડળીના ડિરેકટર
રાજકોટ ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ
2015થી 2020 દરમ્યાન મહાનગર પાલિકાના કોર્પોરેટર
ગુજરાત ભાજપના મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ
જામનગર ભાજપના મહિલા મોરચાના પ્રભારી
મહત્વનું છે કે એકાદ મહિના પહેલા રૂપાબેન શીલુંને અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલમાં હ્રદયની બાયપાસ સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સર્જરી બાદ કિડની અને ફેફસામાં ઇન્ફેક્શન લાગી ગયું હતું. જે બાદ તેમની તબિયત સતત કથળતી ગઈ હતી. જે બાદ ગઈકાલે પરશુરામ જયંતિના નિમિત્તે જ તેણે નશ્વર દેહ છોડ્યો હતો. તેઓના પતિ ડો. એન. ડી. શીલુ, બે પુત્રો આશુતોષ જે હાલ રાજકોટમાં સ્થાયી છે તેમજ દ્ગિજેન (લંડન), દિકરી પૂર્વા મુંબઈમાં રહે છે. અચાનક પરિવારના સભ્યની વિદાયથી તેઓ શોકમાં ગરકાવ છે.