આગામી વિધાનસભાની આવનાર ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાના પ્રયાસો અત્યારથી જ તેજ કર્યા છે. ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ હાલ સમગ્ર રાજ્યમાં સ્નેહ સંવાદ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા લઇ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છાપરીયા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું.
ગુજરાતની ગાદી કોઈના બાપની જાગીર નથીઃ અલ્પેશ ઠાકોર
આ યાત્રા અંતર્ગત બોલતા અલ્પેશ પટેલની નારાજગી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં તેમને જણાવ્યું હતું કે ગુજરાતની ગાદી કોઈના બાપની જાગીર નથી.
હાર્દિકની નારાજગીએ એમનો આંતરિક મામલો છેઃ અલ્પેશ ઠાકોર
હાર્દિક મામલે જણાવ્યું હતું કે હાર્દિકની નારાજગીએ એમનો આંતરિક મામલો છે, અહીં અલ્પેશને લાલચુ, મહત્વાકાંક્ષી ખોટો સાબિત કરવાનો પ્રયત્ન થયો છે. મારી પણ અવગણના થઇ ત્યારે કોઈએ કેમ ન પૂછ્યું.
ટિકિટ અંગે પાર્ટી નક્કી કરશેઃ અલ્પેશ ઠાકોર
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી લડવા અંગે પણ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ટિકિટ અંગે પાર્ટી નક્કી કરશે પણ રાજનીતિ દમખમથી કરીશું. નરેશ પટેલ મામલે જણાવ્યું કે નરેશભાઈ મારા મિત્ર છે તેમનું રાજનીતિમાં સ્વાગત છે.
હાર્દિક પટેલનું ભાજપમાં સ્વાગત કરું છું: વરૂણ પટેલનું આમંત્રણ
આ સંવાદ યાત્રામાં અલ્પેશ ઠાકોર સાથે પાસ કન્વીનર વરુણ પટેલ પણ જોડાયા હતા. તેઓએ આ યાત્રામાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ મામલે બોલતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલનું ભાજપમાં સ્વાગત કરું છું, જ્યારે નરેશભાઈ પટેલનું રાજનીતિમાં સ્વાગત છે. નરેશભાઈ કિનારા ઉપર રહી બોલવા કરતા એકવાર રાજનીતિના દરિયામાં નાહવા પડે, ડૂબકી મારે.
આ કાર્યક્રમમાં બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, અરવલ્લી જિલ્લા ઠાકોર સેના પ્રમુખ સંજયજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.