રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાની વાત સામે આવી છે. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રાજીનામું આપ્યું છે. તમામ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે અમે અકબંધ છીએ, કોઈ ધારાસભ્યએ રાજીનામાં નથી આપ્યા. આ દાવા પર ભાજપના જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોવાની ચર્ચા
કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથીઃ જીતુ વાઘાણી
કોંગ્રેસે ધારાસભ્યોના રાજીનામાં પર આપી પ્રતિક્રિયા
કોંગ્રેસના અમિત ચાવડા, સી.જે. ચાવડા અને લલિત વસોયા, જયરાજસિંહ સહિતના નેતાઓ દાવો કરી રહ્યા છે કે, કોંગ્રેસના એકપણ ધારાસભ્યએ રાજીનામું નથી આપ્યું. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવે રહી છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી.
કોંગ્રેસના આ 2 સિનિયર નેતાઓને કારણે કોંગ્રેસ તૂટીઃ વાઘાણી
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડા બન્ને વચ્ચે આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ તૂટી રહી છે. ત્યારબાદ જીતુ વાઘાણીએ પણ અધિકારીક રીતે કહ્યું હતું કે કોંગ્રેસના સિનિયર નેતાઓને કોંગ્રેસની કંઇ પડી નથી. તેઓને માત્ર એમની સત્તા અને પદની પડી છે. એટલે જ ધારાસભ્યો તૂટે છે. આવામાં કોંગ્રેસમાં આંતરીક વિખવાદ ચરમસીમાએ છે કે નહીં તે આગામી સમયમાં સામે આવી જશે.
વાઘાણીએ કહ્યું કે, રાજીનામાંની વાત સામે આવી છે છતા કોંગ્રેસ કહી રહી છે કે અમે અકબંધ છીએ. કોંગ્રેસના કોઇ ધારાસભ્યએ રાજીનામાં નથી આપ્યા. ત્યારે મેં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો કોન્ટેક્ટ કર્યો હતો. તેમણે મને જણાવ્યું હતું કે રાજીનામાં આવ્યા છે. મને મીડિયાના માધ્યમથી ધારાસભ્યોના રાજીનામાની વાત ધ્યાને આવી હતી. ભાજપના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા નથી. કોંગ્રેસનું ગમે તે થાય તેની તેમના આગેવાનોને ચિંતા નથી.
વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસના 2 ઉમેદવારો વચ્ચેની લડાઇ છે. કોંગ્રેસ હજુ પણ ખુલાસો આપવા તૈયાર નથી. બંનેમાંથી રાજ્યસભામાં કોણ જાય તેનો વિવાદ છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ગેરમાર્ગે દોરે છે. આવતીકાલે વિધાનસભા સ્પીકર જાહેરાત કરશે. ભાજપની ત્રણેય સીટો સુનિશ્ચિત થઈ. કોંગ્રેસના સિનિયર આગેવાનો સત્તા અપાવી શક્યા નથી. ભાજપના ત્રણેય આગેવાનો જીત મેળવશે. કોંગ્રેસને આવતીકાલ સુધી ફોર્મ પાછુ ખેંચવાનો સમય છે. કોંગ્રેસને પોતાને સત્તા અને પદ મળે તેની ચિંતા છે.
રાજીનામાં પર કોંગ્રેસે શું કહ્યું?
તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, એકપણ રાજીનામાંની સાબિત કરવામાં નથી આવી. ભાજપના નેતાઓ રાજીનામાની વાતો ઉછાળે છે. ભાજપ લોકશાહીની પરંપરામાં નથી માનતી. રાજીનામાં સ્વીકારવાનો અધિકાર સ્પીકર શ્રીને છે.
કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ કહ્યું કે કોઇ પણ ધારાસભ્યએ રાજીનામું નથી આપ્યું. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ દ્વારા તોડવામાં આવી રહ્યા છે. ધારાસભ્યોને પ્રલોભન અપાઇ રહ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, કોઇએ રાજીનામું નથી આપ્યું. આ માત્ર અફવા ઉભી કરવાનો કારસો છે. પત્રકારોને કહ્યું તમે એરપોર્ટ પર ઉભા રહે તમને દરેક ધારાસભ્ય અહીં મળશે. થોડી રાહ જુઓ આજે નહીં તો કાલે આવશે. મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો જયપુર જઇ રહ્યા છે.
ધારાસભ્યોના મનમાં શું ચાલે છે?
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાને લઇ પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી સામે સવાલ ઉભા થયા છે કે જો ધારાસભ્યોએ રાજીનામા નથી આપ્યા તો તેઓ ક્યા સંતાયા છે. સામે કેમ નથી આવતા? એટલું જ નહીં પોતાના વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓનો જવાબ કેમ નથી આપતા તેવો પણ સવાલ થઇ રહ્યો છે. જેના રાજીનામાની વાત ચાલી રહી છે એ ધારાસભ્યો કયાં છે?