તાજેતરમાં જાહેર થયેલાં ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતના સપનાને મરણતોલ ફટકો આપ્યો છે. ઝારખંડમાં પરાજય સાથે ભાજપે પોતાના શાસનવાળું વધુ એક રાજ્ય ગુમાવ્યું છે. આ અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્ય સ્તરે રાષ્ટ્રીય મુદ્દાઓનું મહત્વ શૂન્ય
કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું રગધોળાયું
એક પછી એક રાજ્ય ભાજપના હાથમાંથી સરકી રહ્યાં છે
તાજેતરમાં મહારાષ્ટ્રમાં પણ શિવસેનાની બગાવતના કારણે તેના ખાતામાંથી એક રાજ્ય ઓછું થઇ ગયું હતું. હરિયાણામાં પણ ભાજપે જેમ તેમ કરીને સરકાર રચી છે. આમ, છેલ્લાં બે વર્ષમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ અપેક્ષાને અનુકૂળ રહ્યો નથી તે વાતની ઉપેક્ષા કરી શકાય નહીં.
ગુજરાતમાં પણ ભાજપને માંડ માંડ બહુમતી મળી. કર્ણાટકમાં પણ એક વખત સત્તા સરકી ગયા બાદ ફરીથી સરકાર રચવામાં ભાજપ સફળ રહ્યો હતો. આમ, એક પછી એક રાજ્ય ભાજપના હાથમાંથી સરકી રહ્યાં છે. ઘણાં રાજ્યમાં કોંગ્રેસ અથવા તો ભાગીદાર સાથે કોંગ્રેસ સત્તારૂઢ થતી જાય છે.
ર૦૧૪ બાદ ભાજપ લોકોને એવું સમજાવવામાં લાગ્યો હતો કે તે એક રાજકીય તાકાત તરીકે બહાર આવી રહ્યો છે અને કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું તેનું સપનું જલદી સાકાર થશે. ભાજપ સતત એવું કહેતો આવ્યો હતો કે કોંગ્રેસ ઇતિહાસ અને ભૂતકાળનો ભાગ બની જશે, પરંતુ તાજેતરમાં નાગરિક સુધારા કાયદો અને એનઆરસીના પગલે જે રીતે દેશભરમાં લોકજુવાળ ફાટી નીકળ્યો છે તે જોતાં હવે એવું લાગી રહ્યું છે કે હવે ભાજપનાં વળતાં પાણી શરૂ થઇ ગયાં છે.
સમગ્ર દેશમાં નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસીને લઇ ભભૂકી ઊઠેલ વિરોધ વંટોળને જોઇ ભાજપના નેતાઓ હવે એક જ સૂરમાં વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ જ લોકોને ભડકાવી રહી છે. આ રીતે ભાજપે આડકતરો એકરાર કર્યો છે કે કોંગ્રેસની હાજરી દેશભરમાં હાવી છે. આ વાત ભલે સંપૂર્ણપણે નહીં, પરંતુ કેટલીક હદે સાચી છે.
લોકસભાની બે ચૂંટણીમાં સતત નબળા દેખાવ છતાં કોંગ્રેસે પોતાની હિંમત ગુમાવી નથી. કોંગ્રેસ હવે પોતાની રણનીતિમાં મોટો બદલાવ પણ કરી રહી છે. સ્વયંને વૈકલ્પિક શાસક તરીકે સમજવાની માનસિકતામાંથી બહાર નીકળીને કોંગ્રેસે હવે કેટલાંય રાજ્યમાં પ્રાદેશિક પક્ષોને જુનિયર પાર્ટનર તરીકે સ્વીકારી લીધા છે. મહારાષ્ટ્ર તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે કે જ્યાં તેણે શિવસેનાને ટેકો આપ્યો છે.
બીજી બાજુ લોકોમાં એવી છાપ ઊભી થતી રહી છે કે ભાજપ લોકસભામાં પોતાની પ્રચંડ બહુમતીના જોરે આપખુદ અને સરમુખત્યાર બનતો જાય છે. ખાસ કરીને ટ્રાફિક નિયમોના ભંગ બદલ સામાન્ય પ્રજા પર થોપવામાં આવેલ દંડની તોતિંગ રકમથી પ્રજામાં ભારે રોષ અને આક્રોશ છે એટલું જ નહીં, વિવિધ પ્રકારનાં કાર્ડ સાથે લિંક કરવાની ભાજપની નીતિ સામે પણ ભારે રોષ છે. લોકોને સતત વિવિધ પ્રકારનાં કાર્ડ માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે અને લોકોનું માનવું છે કે ભાજપ દેશના અન્ય સળગતા પ્રશ્નો પરથી ધ્યાન બીજે વાળવા લોકોને લાઇનમાં જ ઊભા રાખવા માગે છે.
લોકોનું માનવું છે કે ભાજપની સૌથી મોટી નિષ્ફળતા આર્થિક મોરચે છે. ભાજપ મોંઘવારી નાથવામાં સરિયામ નિષ્ફળ રહ્યો છે. બીજું ભાજપ એ પણ ભૂલી જાય છે કે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉછાળવાથી લોકોનાં પેટ ભરાતાં નથી.
ખાસ કરીને રાજ્ય સ્તરે રાષ્ટ્રીય મુદ્દાઓનું મહત્ત્વ શૂન્ય હોય છે. ભાજપે હવે પોતાની રણનીતિ બદલવી પડશે. રાજ્ય સ્તરે ભાજપે પ્રાદેશિક અને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેિન્દ્રત કરવું પડશે. ભાજપે હવે જાગી જવાની જરૂર છે, અન્યથા મોડું થઇ જશે.