મળતી માહિતી અનુસાર દિલ્હી વિધાનસભાની રણનીતિને લઈને ભાજપની બેઠકમાં કહેવાયું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીઓ, સાંસદો અને મંત્રીઓની કામગીરી મુખ્ય રહેશે. આ તમામ પક્ષના નેતાઓએ નુક્કડ સભા અને જૂથમાં અને નાની મીટીંગો દ્વારા લોકો સુધી પહોંચવું પડશે અને જનસંપર્ક અભિયાનને વધુ તીવ્ર બનાવવું પડશે. ઉલ્લેખનય છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં ભાજપ પોતાના ઉમેદવાર નક્કી કરી શકતી નથી.
દિલ્હી વિધાનસભાની રણનીતિ પર થઈ વિસ્તૃત ચર્ચા
2 કલાકથી પણ વધારે સમય ચાલી બેઠક
ભાજપમાં કેજરીવાલની સામે પોતાના ઉમેદવારને લઈને અટકળો
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટી મુખ્યાલયમાં રવિવારે મોડી રાત સુધી બેઠક કરી. આ બેઠક 2 કલાકથી પણ વધારે સમય સુધી ચાલી હતી. ભાજપના મુખ્યમંત્રી, કેન્દ્કીય મંત્રી, સાંસદ અને કેટલાક ધારાસભ્યો પણ આ બેઠકમાં સામેલ થયા હતા. દિલ્હી ચૂંટણીમાં મુખ્યમંત્રીઓ, સાંસદ અને મંત્રીઓની ફરજ ખાસ રહેશે. તેઓએ જનસંપર્ક અભિયાનને લઈને પણ ચર્ચા કરી હતી.
કેજરીવાલની વિરુધ્ધ ઉમેદવારને લઈને ભાજપ ચિંતિંત
હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં ભાજપ પોતાના ઉમેદવારને નક્કી કરી શકી નથી. કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની વિરુદ્ધમાં ભાજપમાંથી કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી. મુખ્યમંત્રીની વિરુદ્ધ તેમના કદના કોઈ ઉમેદવાર જણાઈ રહ્યા નથી.
અનેક નામને લઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જાણીતા કવિ કુમાર વિશ્વાસના વિદેશ પ્રવાસથી પાછા આવ્યા બાદ તેમનું નામ પણ રવિવારે ચર્ચામાં રહ્યું હતું. માહિતી અનુસાર કુમારની સાથે વાતચીતનો દૌર ચાલુ છે અને પાર્ટી નેતા તેમના સંપર્કમાં છે.
જાણો કોણ શું કરશે.
મળતી માહિતી અનુસાર પૂર્વાંચલના બહુલ વિસ્તારો કે બેઠકો પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હિમાચલ અને ઉત્તરાખંડના બહુલ વિસ્તારોમાં આ બંને રાજ્યોના મુખ્યમંત્રી અને તેમના રાજ્યોના નામી ચહેરાઓ કે મંત્રીઓની નાની સભાઓ થશે. જનસંપર્ક કાર્યક્રમ ચલાવવામાં આવશે. આ રીતે દિલ્હીની બહારના વિસ્તારો અને હરિયાણાની સીટ પર હરિયાણાના મુખ્યમંત્રી અને હરિયાણાના મંત્રીઓની સભાઓ યોજાશે. નોર્થ ઈસ્ટની બહુલતાના વોટર વિસ્તારમાં કિરન રિજૂજૂ અને નોર્થ ઈસ્ટના મુખ્યમંત્રીની સભા અને જનસંપર્ક કાર્યક્રમ યોજાશે.
આ રીતે નક્કી થશે લોકસભા અને વિધાનસભાની બેઠકની જવાબદારીની વહેંચણી
દિલ્હીની દરેક 70 વિધાનસભાની સીટની જવાબદારી એક એક સાંસદને આપવામાં આવશે. આ સિવાય દિલ્હીની 7 લોકસભા સીટની જવાબદારી પણ 7 નેતાઓ અને મંત્રીઓને આપવામાં આવશે. જેમને લોકસભાના વિસ્તારની જવાબદારી આપવામાં આવશે તેમાં અનુરાગ ઠાકુર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મનોજ સિન્હાના નામ સામેલ છે. વિધાનસભાના સાંસદ /મંત્રી અને લોકસભાના સાંસદ/ મંત્રી પરસ્પર સમન્વયથી કામ કરશે અને રણનીતિ બનાવશે. આ સાથે જ કેમ્પેઈનની રણનીતિ પણ નક્કી થશે. સૂત્રોના આધારે વિધાનસભા અને લોકસભાના પ્રભારીઓની સૂચિ આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે.