ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે પરંતુ ST અને મુસ્લિમોની વચ્ચે પોતાનું પ્રભુત્વ જમાવવામાં નિષ્ફળ રહી છે. રાજ્યમાં કોંગ્રેસે સરકાર બનાવવાનો ફોર્મ્યુલા શોધી લીધો છે, પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.
ગુજરાતમાં ભાજપને આ બેઠકો પર ક્યારેય મળી નથી સફળતા
ST અને મુસ્લિમોની વચ્ચે પોતાનું પ્રભુત્વ જમાવવામાં નિષ્ફળ BJP!
આ વખતે ગુજરાતમાં ખેલાશે ત્રિપાંખિયો જંગ
ગુજરાતના નિર્માણ બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 7 વિધાનસભા બેઠકો પર એક પણ વખત જીતી શકી નથી. એટલું જ નહીં ચાર અન્ય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને માત્ર પેટાચૂંટણીમાં જ સફળતા મળી છે, પરંતુ મુખ્ય ચૂંટણીઓમાં ભાજપ કુલ 7 બેઠકો જીતવામાં નિષ્ફળ રહ્યું છે. નોંધનીય છે કે, આ બેઠકો પર અનુસૂચિત જનજાતિનું વર્ચસ્વ છે, જ્યાં ભાજપ પોતાનું પ્રભુત્વ જમાવવામાં વર્ષ 1962થી સતત નિષ્ફળ રહ્યું છે, જ્યારે ગુજરાત રાજ્ય બન્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.
આ સીટો પર હજુ સુધી નથી જીતી શકી BJP
ગુજરાતમાં વર્ષ 1998થી ભાજપ સતત જીતી રહ્યું છે, પરંતુ ભાજપ આ 7 બેઠકો પર ક્યારેય મુખ્ય ચૂંટણીમાં જીત નોંધાવી શક્યું નથી. આ બેઠકોના નામ છે બોરસદ, અંકલાવ, ઝઘડિયા, વ્યારા, ભિલોડા, દાણીલીમડા અને ગરબાડા જ્યાં ભારતીય જનતા પાર્ટીને એક પણ વખત સફળતા મળી નથી. વાસ્તવમાં, ગુજરાત રાજ્યની રચના વર્ષ 1960માં મહારાષ્ટ્રથી અલગ થયા બાદ થઈ હતી.
કોંગ્રેસનો રેકોર્ડ નથી તોડી શક્યું ભાજપ
અહીં વર્ષ 1962માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1962થી 1985 સુધી રાજ્યમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે, પરંતુ વર્ષ 1990થી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી રહી છે. રાજ્યમાં કોંગ્રેસનું પ્રદર્શન વર્ષ 1985માં શાનદાર રહ્યું છે જ્યારે કોંગ્રેસે 56 ટકા મત મેળવીને રેકોર્ડ નોંધાવ્યો હતો. ભાજપ હજુ સુધી ગુજરાતમાં કોંગ્રેસનો આ રેકોર્ડ તોડી શક્યું નથી.
ST પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ કેમ વધુ?
બોરસદમાં કોંગ્રેસ સતત જીતતી આવી છે. જોકે, વર્ષ 1962 અપવાદ છે, પરંતુ તે પછી કોંગ્રેસનો પરચમ લહેરાતો રહ્યો છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1985 સુધી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવ્યા છે અને તે પછી છોટુભાઈ વસાવા ઝઘડિયાથી સાત વખત જીત્યા છે. છોટુભાઈ વસાવા છ વખત જનતા દળની ટિકિટ પર અને વર્ષ 2017માં ભારતીય ટ્રાયબલ પાર્ટીથી જીત્યા છે. આવી જ સ્થિતિ વ્યારા વિધાનસભા બેઠકની પણ છે, જ્યાંથી બે વખત વર્ષ 1990 અને 1995માં કોંગ્રેસના બળવાખોરો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. પરંતુ તે સિવાય વ્યારાથી કોંગ્રેસ સતત જીતી રહી છે. એટલું જ નહીં ભિલોડા, મહુધા, આંકલાવ, દાણીલીમડા અને ગરબાડામાં બીજેપી એક વખત પણ જીતનો સ્વાદ ચાખી શકી નથી.
આ બેઠકો પરની પેટાચૂંટણીમાં મેળવી હતી જીત
વર્ષ 1967 અને 1990 સિવાય સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં કોંગ્રેસનો જ હંમેશા વિજય થયો છે. બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભા અને રાજકોટની જસદણ બેઠકની પેટાચૂંટણીમાં જ ભાજપ જીતી શક્યું છે. ભાજપે 1990 અને 1995માં રાજકોટની ધોરાજી વિધાનસભા જીતી હતી, જ્યારે ગુજરાતમાં ભાજપ દિવસેને દિવસે મજબૂત બની રહી હતી. વર્ષ 1998 બાદ ભાજપ સંપૂર્ણ તાકાત સાથે સરકારમાં આવી હતી પરંતુ ધોરાજી વિધાનસભાની પેટાચૂંટણી વર્ષ 2013માં જ જીતી શકી હતી.
કોંગ્રેસનો દબદબો યથાવત
વાસ્તવમાં ગુજરાતમાં 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે, પરંતુ ભાજપ મુસ્લિમો સિવાય આ જાતિઓ પર પકડ જમાવી શક્યું નથી. વર્ષ 2017માં આ આરક્ષિત બેઠકો પર ભાજપ 8 જ્યારે કોંગ્રેસ 15 બેઠકો જીતવામાં સફળ રહી હતી. વર્ષ 2012માં ભાજપે 10 સીટો જીતી હતી, પરંતુ ત્યારે પણ કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો હતો અને કોંગ્રેસ 16 સીટો જીતવામાં સફળ રહી હતી. વર્ષ 2008માં ST આરક્ષિત બેઠકોની સંખ્યા 26 હતી, જેમાંથી ભાજપ 11 અને કોંગ્રેસ 14 બેઠકો જીતવામાં સફળ રહી હતી.