જિલ્લાના 22 જેટલા અગ્રણી-હોદેદારોને કમલમમાં બોલાવાયા
મહીસાગરમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા ભાજપ નેતાઓ સામે મોવડી મંડળે એકશન લેવાનું મન બનાવી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામ કરનારા મહીસાગર જિલ્લાના 22 જેટલા અગ્રણી-હોદેદારોને કમલમમાં હાજર થવા સૂચન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે ચૂંટણી વેળાએ ભાજપના અનેક નેતાઓ અને ધારાસભ્યો સહિતનાઓએ છાને ખૂણે પક્ષ વિરોધી પ્રચાર કર્યો હોવાનું અથવા નિષ્ક્રિય રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને હવે આવા નેતાઓ સામે આકરા પગલાં લેવાઈ તો નવાઈ નહિ!
નિવેદનોના આધારે રિપોર્ટ બનાવી પ્રદેશ ખાતે સોંપવામાં
આ ફરિયાદોની ખરાઈ કરવા માટે થઈને વલ્લભભાઈ કાકડયાની અધ્યક્ષતા વાળી સમિતિની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિએ આજથી ઝોન વાઇસ નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. જે નિવેદનો લઈ રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદ આ રિપોર્ટને પ્રદેશ ખાતે સોંપવામાં આવશે. જેનું નિરીક્ષણ અને અભ્યાસ કર્યા બાદ જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવુ જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લાના પ્રભારી રાજેન્દ્ર પાઠકને પણ બોલાવાયા
મહત્વનું છે કે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે શિસ્ત સમિતિની બેઠક મળી હતી. જે તે સમયે અંદાજે 600 જેટલી ફરિયાદ મળી છે.આ ફરિયાદ ઉપરાંત મબીસાગર જિલ્લાના 3 ધારાસભ્યોની રજુઆતને લઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર હોદેદારોને કમલમમા બોલાવાયા છે. જ્યા વલ્લભભાઈ કાકડયાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પક્ષ વિરોધી કૃત્ય કરનારાઓ પર કાર્યવાહી થઈ શકે છે. આ બેઠકમાં દાહોદ જિલ્લાના પ્રભારી રાજેન્દ્ર પાઠક (પપ્પુ પાઠક) ને પણ બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.