બીજેપીના કર્ણાટક પ્રભારી અરુણ સિંહે સ્પષ્ટપણે કહ્યું કે, પાર્ટી રાજ્યની ચૂંટણીમાં બસવરાજ બોમ્મઈના નેતૃત્વમાં લડવા જઈ રહી છે અને તે પાર્ટીનો સીએમ ચહેરો હશે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈ એક મોટા સમાચાર
ચુંટણી પહેલા ભાજપમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલવાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ
બસવરાજ બોમ્મઈના નેતૃત્વમાં જ લડશે ભાજપ, 150 બેઠકો જીતવાનું લક્ષ્ય
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચુંટણી પહેલા ભાજપમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલવાની તમામ ચર્ચાઓ પર પાર્ટીએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. બીજેપીના કર્ણાટક પ્રભારી અરુણ સિંહે શનિવારે સ્પષ્ટપણે કહ્યું છે કે, પાર્ટી રાજ્યની ચૂંટણીમાં બસવરાજ બોમ્મઈના નેતૃત્વમાં લડવા જઈ રહી છે અને તે પાર્ટીનો સીએમ ચહેરો હશે.
બીજેપીના કર્ણાટક પ્રભારી અરુણ સિંહે કહ્યું કે, પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી સીએમ બોમ્મઈના નેતૃત્વમાં લડશે. તેમણે કહ્યું કે, સંગઠનના નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અમે 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
કોંગ્રેસ અફવાઓ ફેલાવી રહી છે: કર્ણાટક પ્રભારી અરુણ સિંહ
કર્ણાટક પ્રભારી અરુણ સિંહે કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. એટલા માટે તે સીએમ બદલવાની અફવા ફેલાવી રહી છે. જોકે, આમાં કોઈ સત્ય નથી. કોંગ્રેસના નેતાઓ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા અફવાઓ ફેલાવી રહ્યા છે. તેના પર ધ્યાન આપવાની જરૂર નથી.
તાજેતરમાં તુમાકુરુથી ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ ગૌડાએ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની ખુરશી પર જવાની વાત કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આવો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે- પાર્ટીની ટોચની નેતાગીરી બોમ્મઈને મુખ્યમંત્રી પદેથી હટાવવા પર વિચાર કરી રહી છે. શક્ય છે કે, 15 ઓગસ્ટ પહેલા બોમ્મઈની જગ્યાએ અન્ય કોઈને જવાબદારી સોંપવામાં આવે. આ તરફ કર્ણાટક સરકારમાં આરોગ્ય મંત્રી ડો.સુધાકરે ભાજપના નેતા ગૌડાના નિવેદનને નકારી કાઢ્યું હતું. તેમણે કહ્યું- ભાજપ સરકાર (કર્ણાટકમાં) બોમ્મઈના કુશળ નેતૃત્વ હેઠળ સુરક્ષિત અને મજબૂત છે અને કોંગ્રેસના નેતાઓ માત્ર સપના જોઈ રહ્યા છે