ભાજપ દ્વારા ગુજરાત ચુંટણીને લઇને ચૂંટણી ઢંઢેરો જાહેર કારાયો છે. ત્યારે આ મામલે વિજય રૂપાણી અને ઋષિકેશ પટેલએ નિવેદન આપ્યું હતું.
સંકલ્પ પત્રને લઇ વિજય રૂપાણી અને ઋષિકેશ પટેલનું નિવેદન
અમારું સંકલ્પ પત્ર ભવિષ્યના ગુજરાત અને ગુજરાતીઓ માટે છે : વિજય રૂપાણી
આગામી 5 વર્ષમાં ભાજપ શું કામ કરશે એનો સંકલ્પ છે : ઋષિકેશ પટેલ
ગુજરાત ચૂંટણીને લઇને ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરીને જાહેર કરી દીધું છે. આજે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાયું છે. જેમાં ભાજપે યુવા રોજગારી પર વધારે પ્રધાન્ય આપ્યું છે. ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
સંકલ્પ પત્ર 5 વર્ષમાં આ દિશામાં કામ કરવા માટે છે : વિજય રૂપાણી
સંકલ્પ પત્રને લઇને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે અમારું સંકલ્પ પત્ર ભવિષ્યના ગુજરાત અને ગુજરાતીઓ માટે છે. ભાજપ જે બોલે છે એ કરે છે અને જે કરે છે એ જ બોલીએ છીએ. વધુમાં વિજય રૂપાણીએ ઉમેર્યું કે આ સંકલ્પ પત્ર આગામી 5 વર્ષમાં આ દિશામાં કામ કરવા માટે છે. જેમાં "ગરીબો, ખેડૂતો, ગામડા, યુવાઓ અને ઉદ્યોગ અને વેપારીઓનો માટે સમાવેશ કરાયેલો છે. ભવિષ્યમાં સારામાં સારું શિક્ષણ મળે એ માટે વિગતો આવરી હોવાંનું વિજય રૂપાણીએ અંતમાં ઉમેર્યું હતું.
ગુજરાત સરકાર મહત્તમ વિકાસ માટે કટિબદ્ધ : ઋષિકેશ પટેલ
બીજી બાજુ ભાજપ સંકલ્પ પત્રને લઈને ઋષિકેશ પટેલએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઋષિકેશ પટેલએ સંકલ્પ પત્રમાં ખેતી રોજગારી અને શિક્ષણ અંગેની માહિતી આપી કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ભાજપ પોતાનું વિઝન મુકતી હોય છે. આગામી 5 વર્ષમાં ભાજપ શું કામ કરશે એનો સંકલ્પ છે. સંકલ્પથી પણ વધુ કઈ સારૂ થાય તો એ તો કરવું જ છે તેમ ઋષિકેશ પટેલએ ઉમેર્યું હતું. વધુમાં ગુજરાત સરકાર મહત્તમ વિકાસ કરવા માટે કટિબદ્ધ છે અને ગુજરાતની વિદેશની સાથે સરખામણી થાય તેવો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમ ઋષિકેશ પટેલે એક નિવેદનમાં કહ્યું હતું.