લોકસભા ચૂંટણી હવે આખરી દોરમાં પહોંચી ગઇ છે અને ૧૯ મેના રોજ આખરી તબક્કાનું મતદાન યોજાનાર છે અને એ જ દિવસે સાંજે ટીવી ચેનલ્સ અને મીડિયામાં એક્ઝિટ પોલ પ્રસારિત થશે. તેના પગલે શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, જોકે સૌથી વધુ અસર ૨૩ મેના રોજ શેરબજારમાં જોવા મળશે કે જ્યારે મત ગણતરી યોજાનાર છે.
એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કનું અનુમાન છે કે જો ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર રચાશે નહીં તો ભારતીય શેરબજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીમાં ૧૫ ટકા સુધીનો કડાકો બોલી શકે છે અને નિફ્ટી ૧,૭૦૦ પોઇન્ટ કરતાં વધુ તૂટી શકે છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક અને સ્વિટ્ઝર્લેન્ડની બ્રોકરેજ કંપની યુબીએસ સિક્યોરિટીઝના એક રિપોર્ટ અનુસાર જો શેરબજારને અનુકૂળ પરિણામો નહીં આવે અથવા ભાજપની સરકાર નહીં રચાય તો બજારમાં હડકંપ મચી જશે.
જો પરિણામો શેર માર્કેટને અનુકૂળ આવશે અને ભાજપ સરકાર રચવા સફળ રહેશે તો નિફ્ટી પાંચ ટકા મજબૂત થઇ શકે છે એટલે કે ૧૧,૮૦૦ સુધી પહોંચી શકે છે. યુબીએસએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે શોર્ટ ટર્મમાં માર્કેટની ચાલ ૨૩ મેએ નક્કી થશે. જો એનડીએ ૨૫૦થી વધુ બેઠકો જીતવામાં કામિયાબ રહેશે તો નિફ્ટી પાંચ ટકાની મજબૂતાઇ સાથે વર્તમાન સર્વોચ્ચ સપાટીએ જઇ શકે છે.
પરંતુ જો ૨૫૦થી ઓછી બેઠકો આવશે તો માર્કેટમાં વોલેટાલિટી જોવા મળશે. એનડીએ સિવાય અન્ય કોઇ ગઠબંધન સરકાર બનવાની સ્થિતિએ નિફ્ટીમાં ૧૦થી ૧૫ ટકા સુધીનો કડાકો જોવા મળી શકે છે. યુબીએસના એક રિપોર્ટમાં જણાવાયું છે કે શાસક ભાજપને ઉત્તરપ્રદેશમાં ફટકો પડી શકે, જ્યારે પશ્ચિમ બંગાળમાં તેને લાભ થઇ શકે છે.