ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પરંતુ ભાજપે 22 સીટો પર ઉમેદવારોની જાહેરાત ન કરીને સસ્પેન્સ ઊભું કર્યું છે. ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી શાહના ગઢમાં પત્તાં ખોલ્યા નથી.
ભાજપે 22 સીટો પર ઉમેદવારોની જાહેરાત ન કરીને સસ્પેન્સ ઊભું કર્યું
ગૃહમંત્રી શાહના ગઢમાં પણ ભાજેપ નથી ખોલ્યા નથી પત્તાં
ગાંધીનગર ઉત્તર-દક્ષિણ, કલોલ અને માણસા બેઠક પર મંથન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણી જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ એક સાથે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. દિલ્હીમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 09 નવેમ્બરે મોડી રાત સુધી ઉમેદવારો અંગે મંથન કર્યા બાદ 10 નવેમ્બરના રોજ પાર્ટીએ 160 બેઠકો પર ઉમેદવારોના નામો જાહેર કરી દીધા.
ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતા વિરોધ પક્ષ અચંબામાં પડી ગયો. કારણ કે ભાજપે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોનાં નામોની જાહેરાત એકસાથે કરી દીધી હતી. જોકે, મહત્વની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ મહત્વની ગણાતી 22 સીટો પર ઉમેદવારોની જાહેરાત ન કરીને સસ્પેન્સ ઊભું કર્યું છે. ભાજપે રાધનપુર, પાટણ, ખેરાલુ, હિંમતનગર, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, કલોલ, વટવા, ધોરાજી, ખંભાળિયા, કુતિયાણા, ભાવનગર પૂર્વ, પેટલાદ, મહેમદાવાદ, ઝાલોદ, ગરબાડા, જેતપુર (પાવી), સંયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.
આ બેઠક પર કોઈ રિસ્ક લેવા માગતી નથી પાર્ટી
આમાંથી ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકો (દહેગામ વિધાનસભા, કલોલ વિધાનસભા, માણસા વિધાનસભા, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગઢમાં આવે છે. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકોમાંથી 4 બેઠકો એવી છે, જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે. ગાંધીનગર લોકસભામાં આવતી ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ અને માણસા બેઠક પર ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીધી જ નજર છે. અહીં ભારતીય જનતા પાર્ટી કોઈપણ રિસ્ક લેવા માંગતી નથી. આ ચારેય બેઠકોમાંથી એક પણ બેઠક ગુમાવવી ન પડે એટલા માટે હાલ આ બેઠકો પર દાવેદારોના નામ પર ચર્ચા ચાલી રહી છે.
વર્ષ 2007થી ભાજપની એકહથ્થુ શાસન હેઠળ છે ગાંધીનગર દક્ષિણ બેઠક
ગાંધીનગર દક્ષિણ બેઠકની વાત કરીએ તો ગાંધીનગર દક્ષિણ બેઠક એ ગુજરાત રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંની એક છે. તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. આ બેઠક પર અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ સ્થાનિક ભાજપના આગેવાનોએ ઉમેદવાર સ્થાનિક હોય એવી માંગ શરૂ કરી છે
આ બેઠક વર્ષ 2007થી ભાજપની એકહથ્થુ શાસન હેઠળ છે. આ બેઠક વર્ષ 2007થી ભાજપના દિગ્ગજ નેતા પૈકી એક શંભુજી છેલાજી ઠાકોરના હાથમાં છે. ગત વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરીએ તો વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોરે આ બેઠક પર 1,07,480 મતોથી વિજયી બન્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકીને હાર આપી હતી.
2017ની ચૂંટણીમાં ભાજપે ગુમાવી હતી ગાંધીનગર ઉત્તર બેઠક
વર્ષ 2008માં ગુજરાત વિધાનસભામાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાની બેઠક નહોતી. વર્ષ 2008માં પરિસીમન બાદ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉમેરવામાં આવી હતી. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અશોક પટેલે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલને હરાવ્યા હતા. જે બાદ વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને આ સીટ ગુમાવી પડી હતી. અહીં કોંગ્રેસના ઉમેદવાર સી.જે ચાવડાએ ભાજપના ઉમેદવાર અશોક પટેલને હરાવ્યા હતા.
કલોલ બેઠક પર ત્રણ ટર્મથી કોંગ્રેસના કબજામાં
1.59 લાખ જેટલા મતદારો ધરાવતી કલોલ વિધાનસભા બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસ પાર્ટી જીતતી આવે છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે ભાજપ ઉમેદવાર ડો.અતુલભાઈ પટેલને હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે ભાજપ ઉમેદવાર ડો.અતુલભાઈ પટેલને હરાવીને જીત મેળવી હતી. ભાજપે આ વિધાનસભા બેઠક પરથી વર્ષ 1990થી અત્યાર સુધીમાં 3 વાર જીત મેળવી છે અને કોંગ્રેસે 4 વાર જીત મેળવી છે.
OBC સમાજના વર્ચસ્વવાળી માણસા બેઠક પર ઉમેદવાર મહત્વનું ફેક્ટર
ગાંધીનગર જિલ્લાનું માણસા શહેર માણસા તાલુકાનું મુખ્ય મથક છે. માણસા મતદારક્ષેત્રમાં કુલ 212618 મતદારો છે. આ બેઠક પણ બે ટર્મથી કોંગ્રેસના કબજામાં છે. વર્ષ 2011માં ભાજપના ધારાસભ્ય મંગળદાસ પટેલનું લાંબી માંદગી બાદ નિધન થતા માણસા વિધાનસભા બેઠક ખાલી પડી હતી. મંગળદાસ પટેલની ગેરહાજરીમાં કોંગ્રેસના અમિત ચૌધરી માણસા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2012માં ધારાસભ્ય બનાવવામાં સફળ થયા હતા. જોકે વર્ષ 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાંથી ચૂંટણી લડનાર અમિત ચૌધરી જનતાના દરબારમાં ચૂંટણી હારી ગયા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પટેલ સુરેશકુમારે તેમને હરાવ્યા હતા.