ગાંધીનગર: આજે પાટનગરમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મળનાર આ સંમેલનમાં 4 લોકસભા બેઠક માટે ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનમાં અમદાવાદ પૂર્વ-પશ્ચિમ ગાંધીનગર અને સાબરકાંઠા બેઠકના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
મહત્વનું છે કે કેન્દ્રીય કક્ષાએ નિશ્ચિત થયા મુજબ રાજ્યમાં 9 જગ્યાએ સંમેલનો યોજાનાર છે. તે માટેનું આ પહેલુ સંમેલન છે. જોકે આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ હાજર રહેવાના હતા જોકે અગમ્ય કારણોસર તેમનો પ્રવાસ રદ્દ થતા હવે તેઓ હાજર નહી રહી શકે.
મહત્વનું છે કે હવે આગામી લોકસભાની ચૂંટણીનાં પડઘમ શરૂ થઇ ગયાં છે તેમજ સમયગાળો પણ હવે નજીક આવવા જઇ રહ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને પક્ષો દ્વારા આગામી ચૂંટણીને લઇ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.
કમલમ ખાતે તાજેતરમાં યોજાઇ બક્ષીપંચ મોરચાની બેઠક
આજે કમલમ ખાતે ભાજપની બક્ષીપંચ મોરચાની પ્રદેશ કારોબારી મળી હતી. દીનેશ અનાવાડિયાની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઇ હતી.લોકસભાની ચૂંટણી માટે આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી ચૂંટણી પ્રચારના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભીખુ દલસાણીયા સહિતના ભાજપના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા હતા. બક્ષીપંચ મોરચાના પ્રભારી આઈ. કે જાડેજા પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે ખાસ અભિયાન હાથ ધરેલ છે. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા પણ ખાસ યોજના ઘડવામાં આવી રહી છે.