જાવેદ અહેમદ ડાર કુલગામના હોમશાલિબાગ વિસ્તારના ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી આતંકીઓ ભાજપ નેતાઓને સતત નિશાન બનાવી રહ્યાં છે.
આતંકવાદીઓએ મંગળવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભાજપના નેતા જાવેદ અહમદ ડારની ગોળી મારીને હત્યા કરી હતી. ભાજપ નેતા પર આ હુમલો કુલગામના બરજાલુ વિસ્તારમાં થયો હતો. હુમલા બાદ, ભાજપના નેતાને ઘાયલ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડારના મૃત્યુ બાદ સ્થળને સીલ કરી દેવામાં આવ્યું છે અને સેના તેના આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
મૃતક ભાજપના નેતાની ઓળખ જાવેદ અહેમદ ડાર તરીકે થઈ છે, જે અહીં હોમશાલી બાગ વિધાનસભા બેઠકના પ્રભારી હતા. ડારને તેના ઘરની બહાર ઓચિંતો હુમલો કરનારા હુમલાખોરો દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી, ત્યારબાદ તે લોહી વહેતા ત્યાં તૂટી પડ્યો હતો. ગોળી વાગ્યા બાદ, ડારને કુલગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ભાજપે હુમલાની નિંદા કરી
જાવેદ અહેમદ ડારના મૃત્યુ બાદ સ્થાનિક ભાજપના નેતાઓ અને સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સમગ્ર વિસ્તારને સીલ કરીને સેના, પોલીસ અને સીઆરપીએફે હવે અહીં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ભાજપે હુમલાની નિંદા કરી છે અને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા આતંકી ઘટનાની ટીકા કરી અને મૃતક નેતાના પરિવાજનોને સાંત્વના પાઠવી હતી. ભાજપે પણ આ ઘટનાની ઉગ્ર ટીકા કરી હતી.
એક પછી એક અનેક હુમલાઓ
જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સતત ભાજપના નેતાઓ પર હુમલા કરીને ગભરાટનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાંચ દિવસ પહેલા કેટલાક આતંકવાદીઓએ રાજૌરી જિલ્લામાં ભાજપના નેતા જસબીર સિંહના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર વર્ષના બાળકનું પણ મોત થયું હતું. આ ઘટના પહેલા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ગુલામ રસૂલ ડાર અને તેની પત્નીની દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, જૂન મહિનામાં, દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં ભાજપના કાઉન્સિલર રાકેશ પંડિતાની પણ હત્યા કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓ ઘાટીમાં ભાજપ નેતાઓને નિશાન બનાવી રહ્યાં છે
છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓ ઘાટીમાં ભાજપ નેતાઓને નિશાન બનાવી રહ્યાં છે. 13 ઓગસ્ટે કાશ્મીરમાં આ બીજો આતંકી હુમલો હતો. બપોરે આતંકીઓએ બીએસએફ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. સદનસીબે તેમાં કોઈ જાનહાની થઈ નહોતી. ગ્રેનેડ હુમલા બાદ આખા વિસ્તારને સીલ કરી દેવાયો છે.