ગાંધીનગરઃ ભાજપ અને કોંગ્રેસ બન્નેની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઇ છે. રાજ્યસભાની ચૂંટણીને લઇ પ્રદીપસિંહ અને શૈલેષ પરમારની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ છે. જે દરમિયાન પ્રદીપસિંહે જણાવ્યું કે કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ કિરીટસિંહ રાણાનું ફોર્મ પરત ખેંચાયું છે. 4 બેઠકો માટે 4 જ ઉમેદવારોને આગળ કરાયા છે.
વધુમાં હજ સબસીડી રદ્ કરવા મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપો લગાતા કહ્યું કે કોંગ્રેસે મુસ્લિમ મત મેળવવા માટે હજ સબસીડી રાખી હતી. કોંગ્રેસ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભેદ કરાવે છે. અને લઘુમતી કોમને માત્ર વોટ બેન્ક તરીકે જ જોઈ રહી છે.
જ્યારે કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે પત્રકાર પરિષદમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તરફથી સત્તાવાર બે જ ઉમેદવાર ચૂંટણી લડશે. ભાજપના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ એક થઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કિરીટસિંહ રાણાએ ફોર્મ પરત ખેંચ્યું છે. તેમજ અપક્ષ ઉમેદવાર પી.કે.વાલેરાએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે. જીતુ વાઘાણી અને પરેશ ધાનાણીની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જેના પરિણામે રાજ્યસભાની ચૂંટણી બિનહરિફ થશે.