2019 લોકસભાની ચૂંટણીનું રણશીગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે બે રાજકીય મહાપક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીપ્રચારના શ્રીગણેશ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરથી કરવા આતુર બન્યા છે. કોંગ્રેસ ધરમપુરથી પ્રચારની શરૂઆત કરી પરંપરા જાળવી રાખવા માગે છે. તો ભાજપ અહીંથી કોંગ્રેસ પહેલા જ પ્રચાર શરૂ કરીને પહેલેથી જ કોંગ્રેસ કરતાં એક ડગલું આગળ રહેવા માગે છે.
ધરમપુરથી થશે પ્રચારના શ્રીગણેશ
2019 લોકસભાની ચૂંટણીનુ બ્યૂગલ વાગી ચૂક્યુ છે. ત્યારે બે રાજકીયપક્ષો કોંગ્રેસ અને ભાજપા દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાથી કરવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરીના રોજ રાહુલગાંધી ધરમપુરના લાલ ડુંગરી મેદાન ખાતેથી જાહેર સભા સંબોધવાના છે. ત્યાર બાદ વર્કિંગ કમિટીના આગેવાનો સાથે મિટિંગ પણ કરશે.
માન્યતાને માત આપવા ભાજપની તૈયારી
તો આ તરફ ભાજપ દ્વારા અચાનક જ રાહુલ ગાંધીની સભાના એક દિવસ પહેલા એટલે કે 13 તારીખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પ્રચાર માટે મેદાનમાં ઉતારવાનું આયોજન ગોઠવી લીધું છે. તો કેમ એક નાનકડો ધરમપુર તાલુકો હાલ રાજકીય ગતિવિધિનું એપિસેન્ટર બની ગયો છે?
ઈતિહાસ સાક્ષી છે...
સાચી વાત છે વલસાડ જિલ્લાનું ધરમપુર દેશના રાજકારણ અને રાજકીય ઈતિહાસની દ્રષ્ટીએ અતિ મહત્વનું છે. તેમાંય ધરમપુરનું લાલ ડુંગરી મેદાન દેશના રાજકારણમાં શુભ સ્થળ સાબિત થઇ રહ્યું છે. ખાસકરીને કોંગ્રેસ માટે ધરમપુરનો આદિવાસી બેલ્ટ હંમેશા શુકનવંતો સાબિત થયો છે. કોંગ્રેસનો ઇતિહાસ જોઈએ તો 1980માં ઇન્દિરા ગાંધીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત અહીંથી જ કરી હતી. સત્તામાં પરત ફર્યા હતા. ત્યારબાદ 1984માં રાજીવ ગાંધીએ પણ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ ધરમપુરના આ જ લાલડુંગરી મેદાનથી કર્યા હતા. પરિણામ પણ કોંગ્રેસના પક્ષમાં રહ્યા હતા. આ સિલસિલો આગળ વધ્યો સોનિયા ગાંધીએ પણ 2001માં કિસાન રેલીને લાલ ડુંગરી મેદાનથી સંબોધન કર્યુ હતું. વલસાડની 5 વિદ્યાસભાની બેઠકમાંથી 4 બેઠક કોંગ્રેસને ફાળે આવી હતી.
ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ ધરમપુરથી લોકસભા ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ કર્યા હતા
વર્ષ 2004માં પણ સોનિયા ગાંધીએ ધરમપુરથી લોકસભા ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ફળ સ્વરૂપ સળંગ 10 વર્ષ સુધી કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. આ વાતને કોઈ ભલે યોગાનુયોગ ગણે પરંતુ ઈતિહાસ એ વાતનો સાક્ષી રહ્યો છે. ઈતિહાસની તવારિખ જોઈએ તો 1980માં ઇન્દિરા ગાંધીની સભા ધરમપુરમાં થઈ હતી. તે વખતે વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર ઉત્તમભાઈ પટેલનો વિજય થયો હતો. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી. જેમાં ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા હતા.
રાજીવગાંધીની પ્રથમ ચૂંટણી સભા પણ ધરમપુરમાં થઈ હતી
વર્ષ-1984 રાજીવગાંધીની પ્રથમ ચૂંટણી સભા પણ ધરમપુરમાં થઈ હતી તે વખતે પણ વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર ઉત્તમભાઈ પટેલનો વિજય થયો હતો. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી જેમાં રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા હતા. વર્ષ-2004ની વાત કરીએ તો સોનિયા ગાંધીની સભાનો આગાઝ પણ વલસાડના ધરમપુરથી કર્યો હતો. ત્યારે પણ વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર કિશન પટેલનો વિજય થયો હતો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી. જેમાં ડૉ. મનમોહનસિંહ પ્રધાનમંત્રી બન્યા હતા.
1980 ઇન્દિરા ગાંધીની સભા
વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર ઉત્તમભાઈ પટેલનો વિજય
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર
ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી
1984 રાજીવગાંધીની સભા
વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર ઉત્તમભાઈ પટેલનો વિજય
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર
રાજીવ ગાંધી પ્રધાન મંત્રી
2004 સોનિયા ગાંધીની સભા
વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર કિશન પટેલનો વિજય
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર
ડો. મનમોહનસિંહ પ્રધાનમંત્રી
ત્યારે હવે 2019 માટે રાહુલગાંધી પણ પોતાના માતા-પિતા અને દાદીના કદમ પર 2019 લોકસભાનું રણશીંગુ ફૂંકવા માટે અને વર્કિંગ કમિટીની બેઠક માટે 14 તારીખે ધરમપુરના લાલડુંગરીના મેદાનમાં આવી રહ્યા છે. ત્યારે કોંગી અગ્રણીઓમાં પણ આ ઐતિહાસિક મેદાન પર થનારી જાહેર સભાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
માન્યતા પર આરપાર
ધરમપુર ખાતેથી કોંગ્રેસ પરંપરા અને શુકનને લઈને પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યો છે. પોતાના નેતા રાહુલ ગાંધીને આવકારવા થનગની રહ્યો છે. ત્યારે ભાજપ આ પરંપરા અને માન્યતાનું ખંડન કરવા મરણિયો બન્યો છે. એટલે જ તો ભાજપે કોંગ્રેસના ચૂંટણી પ્રચારના ઠીક એક દિવસ પહેલા પોતાના પ્રચારનું આયોજન કરી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ સાથે જોડાયેલી જીતની આ માન્યતાને ભાજપ સ્વીકારવા તૈયાર નથી.
હાલ તો બન્ને પક્ષો ચૂંટણી પ્રચારને લઈને મરણિયા બની રહ્યા છે. ત્યારે એ તો ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડશે કે માન્યતાની જીત થઈ કે રાજકારણની જીત થઈ!