વિધાનસભા ચૂંટણીમાં કુલ 560 ઉમેદવારોમાંથી કોંગ્રેસે 7.7% મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે 9.4% મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવામાં રાજકિય પક્ષો પાછળ
વિધાનસભા ચૂંટણીમાં કુલ 560 ઉમેદવારોમાંથી માત્ર 40 મહિલાઓને ટિકિટ
સૌથી વધુ ભાજપે 17 મહિલાઓ, કોંગ્રેસે 14, AAPએ 7 અને AIMIM 2 મહિલાને ટિકિટ આપી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો મતદારોને રીઝવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. જોકે રાજ્યમાં મહિલાઓના મત માંગતા રાજકીય પક્ષો તેમને પ્રતિનિધિત્વ આપવાનું યોગ્ય માનતા નથી તેવું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વિતરણનું ગણિત જોતાં લાગી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, AAP અને AIMIMની જ વાત કરીએ તો આ પક્ષો દ્વારા જાહેર કરાયેલા કુલ 560 ઉમેદવારોમાંથી માત્ર 40 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ 17 મહિલાઓને ભાજપે, 14 કોંગ્રેસે, 7ને આમ આદમી પાર્ટી અને 2ને AIMIM દ્વારા ટિકિટ આપવામાં આવી છે.
વિધાનસભા ચુંટણીની વાત કરીએ તો કુલ ઉમેદવારોમાં મહિલા ઉમેદવારોના હિસ્સાની વાત કરીએ તો કોંગ્રેસે 7.7% મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે 9.4% મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જોકે એકંદરે આ વખતે વધુ મહિલાઓ મેદાનમાં છે. 2017માં માત્ર 22 મહિલાઓએ ચૂંટણીમાં ભાગ લીધો હતો.
જોકે આંકડાકીય રીતે ભાજપ અને કોંગ્રેસે 2012ની સરખામણીએ 2017માં મહિલાઓને ઓછી ટિકિટ આપી હતી. મળતી માહિતી અનુસાર ભાજપે 2017માં મહિલા ટિકિટની સંખ્યા 19થી ઘટાડીને 12 કરી હતી. તેવી જ રીતે કોંગ્રેસે 2017માં 14ને બદલે 10 મહિલાઓને ટિકિટ આપી હતી. ઓછી ઉમેદવારી છતાં મહિલા ઉમેદવારોની જીતની ટકાવારી 59 રહી હતી.
મહત્વનું છે કે, ગુજરાતમાં આ ચૂંટણી માટે કોંગ્રેસ પાસે 92 મહિલાઓએ ટિકિટ માંગી હતી. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠમ્મરે જણાવ્યું કે, 92 મહિલાઓએ ટિકિટ માટે રાજ્ય હાઈકમાન્ડનો સંપર્ક કર્યો હતો. એવું માનવામાં આવતું હતું કે, કોંગ્રેસ ઓછામાં ઓછી 35 મહિલા ઉમેદવારોને નોમિનેટ કરશે, પરંતુ તે સમયે માત્ર 14 મહિલાઓને નોમિનેટ કરવામાં આવી હતી.
ગુજરાતમાં મહિલાઓને ટિકિટ ન આપવા પાછળ જ્ઞાતિનું અંકગણિત પણ મોટું પરિબળ બને છે. હકીકતમાં જાતિ આધારિત રાજકારણમાં મહિલાઓને પાછળ ગણવામાં આવે છે. આ વખતે વઢવાણ બેઠક પરથી ભાજપની ટિકિટ મેળવનાર જીજ્ઞાબેન પંડ્યા સાથે પણ એવું જ થયું છે. જ્ઞાતિ સમીકરણ માટે નામાંકન પહેલાં જ ભાજપે તેમની ટિકિટ કાપીને જગદીશ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા હતા.
વાસ્તવમાં 1990 થી ભાજપ સતત વઢવાણ બેઠક જીતી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ જીત નોંધાવવા માટે ભાજપે જાતિના અંકગણિતના પ્રયાસમાં જ આ પગલું ભર્યું. તમને જણાવી દઈએ કે, પંડ્યા બ્રાહ્મણ સમુદાયના છે જ્યારે મકવાણા ઓબીસી દલવાડી અને સથવારા સમુદાયના છે. જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં સથવારા સમાજની સંખ્યા વધુ છે.