અમદાવાદઃ હાથમાં દંડો લઇને સલામતીનો સુરજ ઉગાડવા નિકળેલા અસમાજિક તત્વોએ ગુજરાતની અસ્મિતાને જાણે કે આગ લગાવી દિધી. ગાંધીના ગુજરાતમાં એવી તો શરમજનક અહિંસક સ્થિતિ બની કે અન્ય રાજ્યોમાંથી પેટીયુ રળવા આવેલા લોકોને પરિવાર સાથે પલાયન કરવું પડ્યું. પલાયનનો આ પ્રવાહ રાજકીય અવરોધની આંધી લઇને આવ્યો છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને અટવાઇ ગયા.
એક સામાન્ય જનના અંતરમાંથી નિકળેલો રાજકીય મેદાન માટે કરૂણ ગર્જના સમાન સાહિત થયો. લાચારીનો ભોગ બનેલા બિનગુજરાતી પરિવારે જ્યારે વતનની વાટ પકડી તો તેની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઇ. કારણકે ઉત્તરપ્રદેશ અને બિહાર આર્થિક રીતે ભલે ગુજરાતથી પાછળ હોય. પરંતુ લોકસભાની કુલ 120 બેઠકો ધરાવતા બન્ને રાજ્યો ચૂંટણીની દ્રષ્ટીએ ઘણા ફળદ્રુપ ગણી શકાય. એમાંય વળી વારાણસી તો પ્રધાનમંત્રી મોદીની રાજકીય કર્મભુમિ છે.
કોંગ્રેસે પ્રધાનમંત્રીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. પરંતુ ગુજરાતમાંથી ઉત્તર ભારતીયોના પલાયન થવામાં અલ્પેશ ઠાકોરની મુખ્ય ભૂમિકા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. તેના છાંટા સીધા રાહુલ ગાંધી સુધી ઉડ્યા છે.
કોંગ્રેસ અને ભાજપ ભલે એકબીજા પર આરોપ લગાવીને રાજકીય રીતે ક્લીનચીટ લેવા માટે પડાપડી કરતા હોય. પરંતુ એક સંયોગ એ પણ છે કે હાલમાં ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર છે. તો બિહારમાં ભાજપના ટેકાથી જ નીતિશ કુમારનું મુખ્યમંત્રી પદ ટકેલુ છે. એટલે સીએમ યોગી અને નીતિશ કુમાર માટે ધર્મસંકટ જેવી સ્થિતિ ઉભી થઇ. એક તરફ રાજ્યની જનતા હતી બીજી તરફ પક્ષની શાખ. આખરે બન્ને રાજ્યોના મુખ્યમંત્રીએ વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી.
દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીના નગારા વાગી ચુક્યા છે. જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ત્રણ રાજ્યો તો એવા છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. ત્રણેય રાજ્યોમાં મોટાભાગે હિન્દીભાષી લોકો રહે છે. ત્યારે ગુજરાતમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સિદ્ધાંત જેવી રાજનીતિનો ઉદય કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે જોખમી સાબિત થઇ શકે છે.