રાજ્યસભાની ચૂંટણીને કોંગ્રેસ દ્વારા બે અને ભાજપ દ્વારા ત્રણ બેઠક પર જીત મેળવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં BTPના ધારાસભ્યો જેના પક્ષમાં મત કરે તે ઉમેદવારની જીત નક્કી થઈ શકે છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ BTPને પોતાની સાથે લેવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ BTP આગેવાનો સાથે વાત કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ તરફથી શીર્ષ નેતૃત્વના નેતાઓની BTP સાથે ચર્ચા ચાલી રહી છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ
રાજ્યસભા ચૂંટણીમાં BTPના 2 મત મહત્વના
ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોના રાજીનામા
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ઘીમેઘીમે રસપ્રદ બની રહી છે. ભાજપ 3 બેઠક માટે અને કોંગ્રેસ 2 બેઠક મેળવવા માથાકૂટ કરી રહી છે. બંને પક્ષોને જીત માટે BTP પર મદાર રાખવો પડશે. કોંગ્રેસને BTP પરનો મદાર મોંધો પડી શકે છે. હાલ BTPના બે ધારાસભ્યો છે તેમાં એક ડેડીયાપાડાથી મહેશભાઈ વસાવા અને બીજા ધારાસભ્ય ઝઘડીયાથી છોટુભાઈ વસાવા છે. BTPના મહેશ વસાવા ભાજપ સાથે ડીલ કરી રહ્યાં છે. કેન્દ્રીય નેતૃત્વ અને ગૃહરાજ્યમંત્રી સાથે મહેશ વસાવા સંપર્કમાં છે. વસાવાનો પરિવાર ભાજપ-કોંગ્રેસ બંને સાથે ડીલ કરી રહ્યાં છે. BTPના છોટુ વસાવા અહેમદ પટેલના સંપર્કમાં છે. પરંતુ ભાજપને શંકા છે કે BTPના મત તો કોંગ્રેસને મળી શકે છે. આ રીતે જોઇએ તો રાજ્યસભાની ચૂંટણીમાં BTPના 2 વોટ મહત્વના છે. રાજ્યસભાની ચૂંટણી મુદ્દે BTPનું સ્ટેન્ડ ક્લીયર નથી. BTPના છોટુ વસાવાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
મારે કોઈ પક્ષ સાથે વાત થઇ નથીઃ છોટુ વસાવા
BTPના છોટુ વસાવાએ કહ્યું કે મારે કોઇ પક્ષ સાથે વાત થઇ નથી. અમારા પ્રશ્નો હલ કરવા કોઈ તૈયાર નથી. આદિવાસીઓના પ્રશ્નો કોંગ્રેસે ઉભા કર્યા છે. 1962થી આદિવાસીના વિસ્થાપનનો પ્રશ્ન ઉઠ્યો છે. રાજ્યસભા મુદ્દે અમારૂં સ્ટેન્ડ ક્લિયર નથી. મતની જરૂર પડે ત્યારે જ વાત કરે છે. કોંગ્રેસે વેપારીઓને ટિકિટ આપી છે. કામ જ કરવું હતું તો વૈચારિકોને ટિકિટ આપવી જોઈએ.
ભાજપ કોંગ્રેસના 3 મતોનું ક્રોસવોટિંગ કરાવે તેવી સંભાવના
મહત્વનું છે કે, હાલમાં વિધાનસભાની સંખ્યા 172 છે અને તેમાં ભાજપ પાસે 103 અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. જ્યારે એનસીપી તથા અપક્ષ 1-1 અને BTPના બે સભ્યો વસાવા ફેમીલીના છે. ત્યારે 1 અપક્ષ, 1 NCPના મત પણ કોંગ્રેસને મળે તો પણ ભાજપે તેની ત્રણેય બેઠકો જીતવા કોંગ્રેસમાંથી 3 ધારાસભ્યોનું ક્રોસવોટિંગ કરાવી દેવાનો ખેલ પાડી રહ્યા છે. જોકે NCPના મતને લઇને પણ અસમંજસ ચાલી રહી છે. NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી અને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસને મત આપવા કહી રહ્યા છે ત્યારે NCPના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને મત આપે તેવી શક્યતા વર્તાઇ રહી છે.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-BTP સાથે લડ્યા હતાઃ અમિત ચાવડા
રાજ્યસભાની ચૂંટણીમાં BTPને રિઝવવા કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. BTPના 2 વોટ રાજ્યસભાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં છે ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, BTP ગરીબો અને આદિવાસીઓ માટે લડે છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-BTP સાથે લડ્યા હતા. BTP અને કોંગ્રેસની વિચારધારા એક સમાન છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ સાથે કામ કરી રહ્યાં છીએ. BTP ભાજપની દબાણની નીતિના વિરોધમાં મતદાન કરશે.