રાજ્યમાં જસદણ પેટાચૂંટણીના જંગને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાલમાં યોજાયેલ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતને લઇને ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાની જીતનો દાવો કર્યો છે. જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ મતદાન શરૂ થાય તે પહેલા નિવેદન આપતાં કહ્યું છે કે જસદણમાં કોંગ્રેસની જીત નક્કી છે.
અવસર નાકિયા આસલપુર ખાતે મતદાન કરશે. નાકિયાએ જણાવ્યું કે જસદણના મતદાતાઓ કોંગ્રેસની સાથે છે. તમામ સમાજ મારી સાથે છે. અવસર નાકિયાએ કહ્યું કે ગુરુ કરતાં ચેલો સવાયો નીકળશે.
જ્યારે જસદણ પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ નિવેદન આપતાં કહ્યું કે જસદણના મતદાતાઓ પ્રથમ વખત કેબિનેટ મંત્રીને મતદાન કરશે.