અમદાવાદ, સુરત અને વડોદરામાં ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકરો જુદી-જુદી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ જામ્યો
ભાજપ, કોંગ્રેસ સાથે AAP પણ ચૂંટણી જંગમાં
સુરતમાં ભાજપ-કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચારના કાર્યમાં જોડાઈ ગઈ છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકરો જુદી-જુદી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પણ પ્રચારના કાર્યમાં લોકો સુધી પહોંચી રહ્યા છે. ભાજપના ગઢમાં ઈટાલિયાએ કહ્યું કે, ગઢ ભાજપના નહીં જનતાના હોય. અમે માત્ર વચન નહી આપીએ કામ કરીશું.
આ સાથે આમ આદમી પાર્ટીએ નવી પદ્ધતિથી પ્રચાર શરૂ કર્યો છે. સુરતના વોર્ડ-4માં EVM મશીનનું પ્લેકાર્ડ બતાવી પ્રચાર ચાલી રહ્યો છે. AAP ઉમેદવાર લોકોને સમજાવી રહ્યાં છે કે, કેવી રીતે મત આપવાના છે.
તો બીજી તરફ સુરત મનપા માટે કોંગ્રેસ પણ રોડ પર નિકળી ચૂકી છે. કોંગ્રેસ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. કોંગ્રેસે 24 મુદ્દાઓ સાથે જાહેર શપથપત્ર જાહેર કર્યું છે. કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરાને "શપથપત્ર" તરીકે ઓળખાવે છે. શપથપત્રમાં કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરી કાયમી નોકરી આપવાનો દાવો કરાયો છે.
તો સત્તામાં કાયમ સુરત ભાજપ દ્વારા પણ આજે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરાયો છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા મેનિફેસ્ટો કર્યો જાહેર કરાયો હતો. મેનિફેસ્ટોની જાહેરાત સાથે સી.આર.પાટીલે કહ્યું કે, 25 વર્ષમાં સુરતમાં ભાજપે શું કર્યું તેનો લોકોને હિસાબ આપ્યો છે. પ્રાથમિક સવલતોની કામગીરી પૂર્ણ કરી છે. 971 કરોડના ખર્ચે તાપીનું શુદ્ધિકરણ શરૂ કર્યું અને મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરી.