જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ કોંગ્રેસની વિરુદ્ધ બળવો કર્યો અને ત્યાર બાદ તેમના ટેકેદારોની મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છોડવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ છે. ગ્વાલિયર-ચંબલ તેમનો ગઢ છે અને તેથી જ અહીંથી સંખ્યા વધુ પ્રમાણમાં છે.
મધ્યપ્રદેશની વિધાનસભાની 27 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં સૌથી મહત્વપૂર્ણ ગ્વાલિયર-ચંબલ ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની અંદર સૌથી મોટું ગાબડું પાડ્યું હોવાનો દાવો કર્યો છે.
ભાજપના જણાવ્યા મુજબ ગ્વાલિયર ચંબલ ક્ષેત્રમાં 3 દિવસીય મેગા સદસ્યતા અભિયાનમાં કોંગ્રેસના 76000 થી વધુ કાર્યકરોએ ભાજપની સદસ્યતા લીધી છે. જો કે કોંગ્રેસ ભાજપના આ દાવાને ખોટો ગણાવી રહી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ પોતાની ટવીટમાં લખ્યું છે કે ગ્વાલિયર અને ચંબલ વિભાગના ચાર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના, 76,3611 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. તેમાંથી 18334 ગ્વાલિયર લોકસભા, 24989 મુરેના લોકસભા, 19563 ગુણા લોકસભા અને 13475 ભીંડ લોકસભા મત વિસ્તારના કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્મા અને સીએમ શિવરાજે ટ્વીટ કરીને ભાજપમાં આ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું છે. ગ્વાલિયરમાં ગત 22 ઑગસ્ટથી શરૂ થયેલ મેગા સદસ્યતા અભિયાન માટે મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને નરેન્દ્રસિંહ તોમર સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતાઓએ ગ્વાલિયરમાં ધામાં નાખ્યાં હતાં.
પેટા ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ
મધ્ય પ્રદેશમાં યોજાનારી 27 બેઠકો પૈકી ગ્વાલિયર ચેમ્બલ વિભાગ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે પેટાચૂંટણીની મહત્તમ 16 બેઠકો આ ગ્વાલિયર ચંબલ ક્ષેત્રની છે.
બીજી મોટી વાત એ છે કે આ જ્યોતિરાદિત્ય સિંધિયાનો વિસ્તાર છે જેમણે કોંગ્રેસ સામે બળવો કર્યો હતો. ગ્વાલિયર ચંબલ ડિવિઝન જ્યોતિરાદિત્ય સિંધિયાનો ગઢ છે, તેથી ભાજપ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉપર માનસિક દબાણ લાવવા મેગા સભ્યપદ અભિયાન ચલાવી રહી છે. કોરોનાનો માહોલ હોવા છતાં સાર્વજનિક આયોજન કરીને કોંગ્રેસ કાર્યકર્તાઓને ભાજપનું સભ્યપદ અપાવવામાં આવી રહ્યું છે. સદસ્યતા માટે સીએમ અને સિંધિયા પણ ગ્વાલિયરમાં ત્રણ દિવસથી હાજર છે.
કોંગ્રેસે આંકડા ઉપર સવાલો ઉઠાવ્યા
એક તરફ ભાજપ કોંગ્રેસને સૌથી મોટો ફટકો આપવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસે આ આંકડાને બનાવટી ગણાવ્યા છે. કોંગ્રેસના આરોપોનું માનીએ તો ભાજપ ખુદ પોતાના જ કાર્યકર્તાઓને કોંગ્રેસના કાર્યકર્તા બતાવી સદસ્યતા અપાવી રહ્યું છે. જો કે ભાજપમાં જોડાતા કોંગ્રેસના કાર્યકરોની યાદી ગ્વાલિયર ચંબલ ભાજપ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે અને જરૂર પડે તો તે જાહેર કરી શકાય છે.