મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના એક દિવસ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે શિવસેનાના સમર્થન વિના બીજેપી પ્રદેશમાં સરકાર બનાવવામાં સક્ષમ નહીં હોય, ભલે શિવસેનાને 4-5 બેઠકો પર જ જીત મળે. એક સ્થાનિય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં વરિષ્ઠ શિવસેના નેતાએ દાવો કર્યો કે તેમની પાર્ટીએ જે 124 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી તે 100 બેઠકો પર જીત મેળવવામાં સફળ થશે.
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ આવતા પહેલા શિવસેના નેતા સંજય રાઉતનું મોટુ નિવેદન
સંજય રાઉતે કર્યો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 100થી વધુ બેઠકો પર જીતનો દાવો
રાઉતે કહ્યું કે બીજેપી શિવસેનાના સહકાર વિના સરકાર બનાવી નહીં શકે
નોંધનીય છે કે, ભાજપ સાથે ગઠબંધનની ભાગીદાર શિવસેનાએ આ વખતે 164 બેઠકો પર બીજેપી અને તેમની સહયોગી પાર્ટીના ઉમેદવારોનું સમર્થન કર્યું હતું. રાઉતે કહ્યું કે બીજેપી શિવસેનાના સહકાર વિના નવી સરકાર બનાવી શકશે નહીં. પછી ભલે શિવસેના 4-5 બેઠકો જ કેમ ન જીતે.
એનડીએને મળશે 200થી વધારે બેઠકો : રાઉત
રાઉતે કહ્યું કે મારુ માનવું છે કે શિવેસના 100 બેઠકો પર જીત મેળવશે અને બીજેપી-શિવેસના ગઠબંધન આ વિધાનસભા ચૂંટણીમાં 200થી વધારે બેઠકો જીતશે. શિવસેનાએ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 62 બેઠકો પર જીત નોંધાવી હતી.
શિવસેના બીજેપી વચ્ચે પ્રેમ અને નફરતનો સંબંધ :રાઉત
રાઉતે સ્વીકાર્યું કે, શિવેસના અને ભાજપની વચ્ચે 'પ્રેમ-નફરત'નો સંબંધ છે. એમણે કહ્યું કે શિવસેના-બીજેપીનું આ ગઠબંધન વોટોની ગણતરી બાદ પણ નહીં ટૂટે. જોકે, બીજેપી અને શિવસેનાએ 2014માં અલગ-અલગ ચૂટણી લડી હતી પરંતુ હવે બંને પાર્ટીઓ સાથે છે. આ એક પ્રકારે પ્રેમ-નફરતનો સંબંઘ છે.