કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ ભારતીય જનતા પાર્ટીને લઇને એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ વિચારધાર પર આધારિત પાર્ટી છે. તે ક્યારેય નરેન્દ્ર મોદી અથવા શાહની પાર્ટી બની ન શકે.
ઉલ્લેખનીય છે કે, ભાજપમાં મોદી-શાહની જોડી જ સર્વેસ્વા છે તેવી ચર્ચાઓ જાગી. દિલ્હીથી લઈને દેશભરમાં આ જોડીને જ ભાજપની પર્યાય માનવામાં આવે છે. ત્યારે ભાજપના જ સિનિયર નેતા નીતિન ગડકરીએ આ વાતને નકારી છે. નીતિન ગડકરીનું કહેવું છે કે, ભાજપ વિચારધારા આધારિત પાર્ટી છે. તે ક્યારેય મોદી કે શાહની પાર્ટી બની ન શકે.
નીતિન ગડકરીએ એક ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યુ આપતાજણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી અને ભાજપ એક બીજાના પૂરક છે. ગડકરીને 'ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા'ની જેમ મોદીએ જ ભાજપવાળી સ્થિતિ અંગે સવાલ કરવામાં આવ્યા હતો.
જેના જવાબમાં ગડકરીએ જણાવ્યું કે, ભાજપ જેવી પાર્ટી ક્યારેય વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી હોતી નથી. આ વિચારધારા આધારિત પાર્ટી છે. અમારી પાર્ટીમાં પરિવાર રાજ ના હોય શકે. એ માન્યાતા ખોટી છે કે, ભાજપ મોદી કે અમિત શાહ કેન્દ્રિત થઈ ગઈ છે.
પાર્ટીનું સંસદીય દળ જ તમામ મહત્વના નિર્ણયો કરે છે. આ ઉપરાંત ગડકરીએ જણાવ્યું કે, ભાજપ ના તો ક્યારેય અટલજીની બની કે ના તો અડવાણીની.. અને ના તો ક્યારેય અમિત શાહ કે નરેન્દ્ર મોદીની બનશે.
તેમણે જણાવ્યું કે, પાર્ટી મજબૂત હોય પણ નેતા મજબૂત ના હોય તો તે ચૂંટણી જીતી શકતી નથી. તેવી જ રીતે નેતા ગમે તેટલો મજબૂત હોય પણ પાર્ટી મજબૂત ના હોય તો તે પણ ચૂંટણી ના જીતી શકે. હા પરંતુ એ સ્વાભાવિક છે કે, જે લોકપ્રિય નેતા હોય છે તે સામે આવે છે. આમ નીતિન ગડકરીએ આડકતરી રીતે જણાવ્યું કે, ભાજપ પાર્ટી કોઈ એક નેતાની નહી પણ કાર્યકર્તાઓની પાર્ટી છે.