હમણાં જ આવેલા 4 રાજ્યોના પરિણામો બાદ ભાજપ દ્વારા મિશન ગુજરાતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ આ વખતે વિધાનસભા 2022ની ચૂંટણીમાં નવો પ્રયોગ કરી શકે છે.
ભાજપનું મિશન ગુજરાત-2022
ભાજપ ચૂંટણીમાં કરશે નવો પ્રયોગ
ભાજપ યુવાનોને આપશે ચૂંટણી લડવાની તક
ભાજપ આ વખતે સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. ભાજપ મોટે ભાગે જૂના નેતાઓની ટિકિટ કાપવાના મૂડમાં દેખાઇ રહી છે. મિશન 2022 અતંર્ગત યુવાનોને પ્રમોટ કરવાનો ભાજપનો પ્લાન છે. ભાજપ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોને તક આપવા માટેની તૈયારી કરી રહ્યું છે. જૂના મંત્રીઓ અને વિવાદમાં આવેલા ચહેરાઓના નામની ભાજપ ટિકિટ સમયે વેતરણ કરે એવી શક્યતાઓ દેખાઇ રહી છે. મહત્વના કહી શકાય એવા ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામો આ વખતે ટિકિટ લિસ્ટમાં ગાયબ જોવા મળી શકે છે.
કયા નેતાનું કપાશે પત્તુ?
એવું માનવામાં આવી રહ્યું છે કે, જે જૂના નેતા અને મંત્રીઓ છે તેમાંથી વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આર.સી.ફળદૂ, સૌરભ પટેલ અને કિરીટસિંહ રાણાની ટિકિટ કપાઈ શકે છે.
તો નાદુરસ્ત તબિયતને કારણે કૌશિક પટેલ અને પુરષોત્તમ સોલંકીના પત્તા કપાઇ શકે છે. જ્યારે નીમાબેન આચાર્ય, રાઘવજી પટેલને પણ ટિકિટ ન મળે તેવી શક્યતાઓ છે. બાબુ જમના પટેલ અને જેઠા ભરવાડની પણ આ છેલ્લી ટર્મ હોઇ શકે છે.
બાબુ બોખીરીયા, રમણ પાટકર, આત્મારામ પરમાર, યોગેશ પટેલ, મોહન ઢોળીયા, બચુ ખાબડ, શંભુજી ઠાકોર, કિશોર ચૌહાણ અને ધનજી પટેલની પણ ટિકિટ કપાઈ તેવી પૂર્ણ શક્યતાઓ છે.
એવી પણ શક્યતાઓ છે કે કેટલાક કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની પણ ટિકિટ કપાઈ શકે છે. જેમાં પરષોત્તમ સાબરીયા અને જીતુ ચૌધરીને ટિકિટ નહીં મળે તેવી સંભાવના છે. તો ગજેન્દ્રસિંહ પરમાર સામે ફરિયાદને કારણે તેની ટિકિટ કાપી શકે છે. જ્યારે બેફામ નિવેદનોને કારણે મધુ શ્રીવાસ્તવની ટિકિટ પર પણ જોખમ છે. જ્યારે નારાજીના સૂર વ્યક્ત કરતા ગોવિંદ પરમારની ટિકિટ કપાશે. વર્તમાન સરકારના ચારથી વધુ મંત્રીઓ ઉંમરના કારણે પડતા મુકાશે.