ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષોની કવાયત તેજ થઇ ગઇ છે. ત્યારે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર મંડરાયેલી છે.
વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકો પર ભાજપની નજર
સૌરાષ્ટ્રની તમામ બેઠકો જીતવા રણનીતિને આખરી ઓપ
સામાજિક સમીકરણને આધારે ફાળવી શકે છે ટિકિટ
સૌરાષ્ટ્રની તમામ બેઠકો જીતવા માટે ભાજપે રણનીતિને આખરી ઓપ આપ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જે બેઠકો ગુમાવી તે બેઠકો પર પક્ષ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરાઇ છે. ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં સમાજ સમીકરણ તેજ બન્યું છે.
સામાજિક સમીકરણના આધારે ભાજપ ટિકિટની ફાળવણી કરી શકે છે
સામાજિક સમીકરણના આધારે આ વખતે ભાજપ ટિકિટની ફાળવણી કરી શકે છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના અમુક કોંગી ધારાસભ્યોને કેસરિયો કરાવવાની પણ ગોઠવણ થઇ રહી છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજને મહત્વ અપાઇ શકે છે. ધોરાજી ઉપલેટા વિધાનસભામાં ભાજપ આ વખતે સામાજિક સમીકરણ બદલી શકે છે. તો રાજકોટની એક બેઠક પર કડવા પાટીદાર સમાજને ટિકિટ આપવાનો ભાજપનો આંતરિક સૂર જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં કેટલાંક ધારાસભ્યો ભાજપની ગુડબુકમાં
સૌરાષ્ટ્રમાં 2017માં કોંગ્રેસના સારા દેખાવ પછી કેટલાંક ધારાસભ્યો ભાજપની ગુડબુકમાં છે. તમને જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગમાં સૌરાષ્ટ્ર એપી સેન્ટર રહ્યું હતું. 7 ધારાસભ્યોના ક્રોસ વોટિંગના સસ્પેન્સ વચ્ચે સૌરાષ્ટ્ર તરફ ભાજપની નજર રહી છે. ત્યારે ઉત્તર ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની વિકેટ પાડવાનો ભાજપનો પ્લાન છે.
ઉલ્લેખનીય છે કે, 3 સપ્ટેમ્બરે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની યુવા પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચના મુજબ આ કારોબારી બેઠકનું આયોજન થઈ રહ્યું છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા આવશે. આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના ગુજરાતના તમામ કાર્યકર્તાઓ પણ હાજરી આપવાના છે. મહત્વનું છે કે, આગામી સમયમાં ચૂંટણી છે એટલે કાર્યકારણી બેઠક પણ યુવાનો માટે ખૂબ જ અગત્યની છે. અત્યાર સુધી ગુજરાત યુવા મોરચા દ્વારા થયેલા કોમો તેમજ હવેના આયોજન વિશે પણ તેજસ્વી સૂર્યાને માહિતગાર કરવામાં આવશે. જ્યાર બાદ તેઓ ચૂંટણીલક્ષી જરુરી માર્ગદર્શન અને સૂચનો આપશે.
ભાજપ સ્થિતિનો તાગ મેળવી સતત બદલી રહ્યું છે રણનીતિ
ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે.અને ભાજપે એવું દર્શાવી રહી છે કે આગામી ચુંટણીમાં જીત આશાન છે. હકીકતમાં આ વખતે ભાજપને શહેરી વિસ્તારમાં હારનો ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમાં પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરતમાં પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે. ભાજપે ગુજરાતને 4 ઝોનમાં વહેચીને પ્રચાર કરવા માટે આયોજન કરેલું છે. જેમાં મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના નેતાઓને સોપી છે. તો દક્ષીણ ગુજરાતની જવાબદારી મહારાષ્ટ્રને સોપવામાં આવી છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન અને સૌરાષ્ટ્ર-કચ્છની જવાબદારી બિહારને સોપવામાં આવી છે.
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પ્રચાર માટે કાર્યકર્તાની ફોજ ઉતરશે
આમ, તો ગુજરાતમાં ચૂંટણી સમયે અન્ય પ્રદેશના નેતાઓ પ્રચાર,સભા કે રોડ શો માટે આવતા હોય છે..પરંતુ આ વખતે કાર્યકર્તાઓની મોટી ફોજ ગુજરાત આવશે અને ઘરે ઘરે જઈને પ્રચાર કરશે મહોલ્લા મીટીંગ કરશે. આ રીતેનો પ્રચાર સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં થતો હોય છે. પરંતુ ગુજરાતમાં થતો નથી. આ વખતે આ પેટર્ન પર પ્રચાર કરવામાં આવશે.કારણ કે ભાજપને ડર છે કે નાના સમાજના લોકો ભાજપથી અંતર રાખે છે અને તેના કારણે નુકશાન થઇ શકે છે. જેથી હાઈ કમાંડ કોઇપણ પ્રકારે રિસ્ક લેવાં માંગતું નથી.