CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતમા ભારે હલચલ છે ત્યારે ભાજપ નેતાઓએ આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે.
આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક
ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાયા
નવા CMને લઈ લેવાઈ શકે છે નિર્ણય
કમલમમાં ભારે હલચલ
વિજય રૂપાણીએ આજે સરદારધામનાં એક કાર્યક્રમમાં હાજરી આપી અને તે બાદ સીધા જ રાજભવનમાં જઈને મોટા નેતાઓ સાથે રાજીનામું આપ્યું હતું. ગુજરાતમાં વિજય રૂપાણીની સાથે ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વનાં દિગ્ગજ નેતાઓ તથા ગુજરાત મંત્રીમંડળનાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ગુજરાતનાં રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે ત્યારે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે અફરાતફરી વચ્ચે ભાજપનાં કમલમમાં મોટા નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
આવતીકાલે ભાજપના તમામ ધારસભ્યોને ગાંધીનગર બોલાવાયા
ભાજપનાં ધારાસભ્યોમાં ભારે બેચેની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે.
આજે પણ કમલમમાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ વી સતીશ, ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષે બંધ બારણે બેઠક કરી હતી.
ગોરધન ઝડફિયા બનશે CM!
આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે તેવી જાણકારી સૌથી પહેલા અકિલાએ આપ્યા હતા. ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને પણ અકિલાનાં માલિક કિરીટ ભાઈ ગણાત્રાએ ખૂબ મોટો ધડાકો કર્યો છે. ગણાત્રા પાસે આવેલ માહિતી અનુસાર હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ગોરધન ઝડફિયા ગુજરાતનાં ખૂબ મોટા નેતા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી તેઓ લાઈમ લાઇટથી થોડા દૂર રહ્યા છે.
બીજા ઘણા બધા નામો આગળ
નોંધનીય છે કે આ બે નામો સિવાય ગુજરાતમાં ઘણા બધા ભાજપનાં ચહેરાઓ છે જે આગામી સમયમાં મુખ્યમંત્રી બની શકે છે. નીતિન પટેલ, પ્રદીપ સિંહ જાડેજા અને પાટિલ પણ ત્રણ મોટા ચહેરાઓ છે જેમને જવાબદારી સોંપવામા આવી શકે છે.