જમ્મૂ કાશ્મીર તંત્ર તરફથી ઘાટીમાં મસ્જિદોની માહિતી માંગવા પર શંકાઓનો દોર શરૂ થઇ ગયો છે. આ પહેલા કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરમાં અર્ધસૈનિક દળોના 10,000 જવાનોની તૈનાતીનો આદેશ આપી દીધો હતો.
જેનાથી વિપક્ષી દળોની શક્યતાઓ છે કે કેન્દ્ર સરકારે આવનાર કેટલાક દિવસોમાં કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 35Aને લઇને કોઇ મહત્વનો નિર્ણય લઇ શકે છે. જેને લઇને સોમવારે ઘાટીમાં ચર્ચાઓનો માહોલ રહ્યો અને પરિસ્થિતિમાં બેચેની નજરે આવી. સ્થાનિકોમાં આ વાતને લઇને ચર્ચાઓ તેજ હતી કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રદેશને લઇને કોઇ મહત્વનો નિર્ણય લઇ શકે છે.
જમ્મૂ કાશ્મીર મુદ્દે ભાજપે તાત્કાલિક બેઠક બોલાવી
આજે જમ્મૂ કાશ્મીર મુદ્દે ભાજપની બેઠક છે. ભાજપના જમ્મૂ કાશ્મીર કોર ગ્રુપની બેઠક મળશે. PM મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં જમ્મૂ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતી અંગે ચર્ચા કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં વિવાદીત અનુચ્છેદ 35A હટાવવાની ઊંધી ગણતરી શરૂ થઈ ચુકી છે. તેને હટાવ્યા બાદ પરિસ્થિતી સામે પહોંચી વળવા માટે જવાનોને મોકલવામાં આવ્યા છે. ત્યારે આજની બેઠકમાં મહત્વની વ્યૂહ રચના ઘડવામાં આવી શકે છે.
જોકે બીજી તરફ સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે ચૂંટણીપંચ દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી યોજાઇ શકે છે. અન્ય રાજ્યોની સાથે જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ શકે છે. કારણ કે આ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અન હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તેની સાથે ચૂંટણી યોજાઈ શકે છે.