જસદણ વિસ્તારમાં જૂથવાદ શમવાનું નામ નથી લેતો. ભારતીય જનતા પાર્ટી કે જે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. તે જ શિસ્તબદ્ધ પાર્ટીના લીરે લીરા જસદણ વિસ્તારની અંદર ઉડતા જોવા મળી રહ્યા છે. અવાર નવાર જસદણ વિસ્તારમાં કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા ના જૂથ વચ્ચે ચાલી રહેલો વિવાદ સપાટી પર આવે છે.
જસદણ ભાજપમાં જૂથવાદ શમવાનું નથી લેતો નામ
કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે ગજગ્રહ બન્યો ચર્ચાનો વિષય
ડિસેમ્બર 2018માં જસદણની પેટા ચૂંટણી યોજાઇ હતી જે પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયાનો 19 હજારથી પણ વધુ મતથી વિજય થયો હતો જો કે ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા તેમાંથી ભરત બોઘરાના મત વિસ્તાર એવા કમળાપુર માંથી કુંવરજી બાવળિયાને પ્રમાણમાં ઓછા મત મળ્યા હતા. જે બાદ કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચે વિસ્તારની ખાઈ વધુ ઘેરી બની હતી.
આયાતી ઉમેદવારની વાત ભાજપ નેતાના જૂથને ખટકી
ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મૂળ કોંગ્રેસી એવા કુંવરજી બાવળીયાએ પોતાની રીતથી જસદણ વિસ્તારમાં કામ એકલા હાથે પૂરા કરવા પ્રક્રિયા હાથ ધરી હતી. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહેલા ભરત બોઘરા અને તેમના જૂથને ક્યાંકને ક્યાંક આ વાત ખટકતી હતી.
ભાજપને મળ્યા પેરાશૂટ મંત્રી
કુંવરજી બાવળીયા ભારતીય જનતા પાર્ટીમાં તો આવી ગયા. એક પેરાશૂટ મંત્રી તરીકે તેમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો પરંતુ પાર્ટીની વિચારધારા અને પાર્ટીની ગાઈડલાઈન મુજબ ભરત બોઘરા તથા તેમના સમર્થકો અને જૂથ નાના માણસોને કુંવરજી બાવળીયા કાર્યક્રમોમાં સાથે નથી રાખી રહ્યા તેવો એક સૂર ઊભો થયો છે.
વોટસએપ ગ્રુપમાંથી રિમૂવ થયા
ત્યારે તાજેતરમાં જ વોટસએપમાંથી ટીમ બીજેપી જસદણગ્રુપ માંથી ભરત બોઘરા જૂથના સભ્યોની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે તો સામે પક્ષે અન્ય એક ગ્રુપમાંથી ખુદ કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયાને જ રીમૂવ કરવામાં આવ્યા છે.
આમ સોશિયલ મીડિયાની ક્રીન પર ચાલતો જૂથ વિવાદ જાહેરમાં આવતા ખુદ ભાજપના વરિષ્ઠ નેતાઓને વિચારતા થઈ ગયા છે. જો કે આ વિવાદનું વતેસર ન થઈ જાય તે માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદનમાં કહ્યું કે, ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા બંને વિસ્તારના કામો લઇ એક સાથે મારી પાસે આવે છે તેમના વચ્ચે કોઈ મતભેદ નથી.
ભરત બોઘરાએ આપ્યું મોટું નિવેદન
હજુ મીડિયા મારફતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિવાદ છે જ નહીં તેવું નિવેદન આપ્યું હતું કે ગણતરીની જ મિનિટમાં ભરત બોઘરાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કુંવરજીભાઈ તેમની રીતે કામ કરે છે અને હું પાર્ટી ગાઈડ લાઈનમાં રહીને કામ કરું છું. તો ભરત બોઘરાના નિવેદનની પ્રતિક્રિયાનો જવાબ આપતા કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે હું પહેલાં જેમ કામ કરતો હતો તે જ પ્રકારે અત્યારે પણ કામ કરી રહ્યો છું. આમ ન તો કુવરજી બાવળીયાની રીત બદલાય છે કે ન તો તેમના સૂર બદલાયા છે
સૌ કોઈ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે ત્યારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે ભરત બોઘરા અને કુંવરજી બાવળીયા બન્નેને સાથે બેસાડીને બધું સમુસૂતરું હોય તેવાં દ્રશ્યો પણ ઉભા કરવામાં આવ્યા હતા પરંતુ પાર્ટીના ઉચ્ચ સ્તરીય નેતાઓએ હવે આ બંને વચ્ચે રહેલી ખાઈને વહેલી તકે પૂરવી જરૂરી બનશે..