મુંબઇઃ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવમાં શિવસેના ગેરહાજર રહેતા અમિત શાહ નારાજ થયા છે. જેના પગલે હવે ભાજપ મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવાના સંકેત ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના કાર્યકર્તાઓને આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અવિશ્વાસ પ્રસ્તાવના એક દિવસ અગાઉ જ અમિત શાહે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી અને સંભાવના વ્યક્ત કરી હતી કે તેઓ સરકારને સમર્થન આપશે. શિવસેનાના વર્તનથી નારાજ અમિત શાહે મુંબઈમાં મહારાષ્ટ્રના ભાજપના નેતાઓને કહ્યું કે પાછલા કેટલાંક સમયથી જેવી રીતે શિવસેનાનો વ્યવહાર જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને અવિશ્વાસ પ્રસ્તાવમાં ગેરહાજરી બાદ હવે આપણે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવી પડી શકે છે. જેના માટે તમામ 48 લોકસભાની સીટો પર તૈયાર રહેવું પડશે. અમિત શાહે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓને કહ્યું કે તમામ 48 સીટ પર લોકસભા પ્રભારીઓની નિયુક્તિ ઝડપથી કરવામાં આવશે. તો શિવસેના પહેલા જ જાહેરાત કરી ચૂક્યું છે કે તેઓ આગામી ચૂંટણી એકલા હાથે લડશે.
શિવસેના અને BJPમાં ખટરાગ વધ્યો
અવિશ્વાસ પ્રસ્તાવમાં શિવસેના ગેરહાજર રહેતા ભાજપ અને શિવસેના વચ્ચે દૂરી વધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા બાદ શિવસેનાએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
સામનાના તંત્રી લેખમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બળાપો કાઢતા ઉલ્લેખ કર્યો છે કે મોદીના સપના માટે હું નથી લડી રહ્યો. મોદી માટે નહીં પણ જનતા માટે કામ કરી રહ્યો છું. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે શિવસેના અને ભાજપ વધે હવે ખટરાગ વધ્યો છે.