લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા બેઠક પરથી ભાજપના 3 નેતાઓએ ટિકિટની માગ કરી છે. ત્યારે કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ ટિકિટ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પરથી ભાજપના 3 દિગ્ગજ નેતાઓએ ટિકિટની માગ કરતા મોવડીમંડળ મુંઝવણમાં છે. આ બેઠક પરથી શંકર ચૌધરી, વર્તમાન સાંસદ હરીભાઈ ચૌધરી અને પરથી ભટોળે ટિકિટની માગ કરી છે. ત્રણેય નેતાઓએ દાવેદારી નોંધાવતા ભાજપ મોવડીમંડળ મુંઝવણમાં છે. ત્રણેય નેતાઓ વચ્ચે પરબત પટેલને ટિકિટ મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બનાસકાંઠા બેઠક પર પરબત પટેલના નામ પર ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ દ્વારા બનાસકાંઠા બેઠક પર કોને ટિકિટ આપવામાં આવશે?
બનાસકાંઠામાં લોકસભા ટિકિટના મુદ્દો ગૂંચવણ ભરેલો
ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે શંકર ચૌધરીને ટિકિટ આપવામાં આવી શકે છે. બનાસકાંઠા બેઠક પર પરથી ભટોળ અને હરીભાઇ ચૌધરીના નામ પર ફરી એક વખત કાતર લાગી શકે છે. આ બેઠક પર ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તો ફરી એક વખત શંકર ચૌધરીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
બનાસકાંઠા કોંગ્રેસ નેતાના દિલ્હીમાં ધામા
બનાસકાંઠા કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા. લોકસભાની ટિકિટ મેળવવા માટે કોંગ્રેસના ઉમેદવારોના દિલ્હીમં આંટાફેરા વધી ગયા છે. કોંગ્રેસ નેતા ગોવાભાઇ દેસાઇ, ગુલાબસિંહ રાજપૂત, ગોવિંદ ચૌધરીએ દિલ્હી મુલાકાત લીધી હતી. કોંગ્રેસ આગેવાન વિપુલ શાહે હાઇકમાન્ડ સમક્ષ ટિકિટની માગ કરી છે. બનાસકાંઠામાં વિપુલ શાહનું નામ સૌથી આગળ છે ત્યારે આ તમામ નેતાઓએ ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે.
ઠાકોર સમાજે કરી ટિકિટની માગ
તમામ સમાજના લોકો પોતપોતાના આગેવાનો માટે ટિકિટની માગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે. ત્યારે ડીસામાં ઠાકોર સમાજની બેઠક યોજાઇ હતી જેમાં લોકસભા ટિકિટ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઠાકોર સમાજ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પાસેથી ટિકિટની માગ કરી છે. જો ટિકિટ નહીં આપે તો અપક્ષ ઉમેદવાર ઉતારવાની પણ તૈયારી બતાવી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ કોને ટિકિટ આપશે?