ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને અપક્ષો તરફથી મોટો પડકાર ઊભો થયો છે.
2022ની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે અપક્ષ ઉમેદવારો બન્યાં માથાનો દુખાવો
અમરેલી, નાંદોદ, વાંકાનેર, કેશોદ સહિતની કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારો મેદાનમાં
અપક્ષો મોટા ઉમેદવારોનું ભાવી બદલી શકે છે
શું ગુજરાતની ચૂંટણીમાં આ વખતે અપક્ષ ઉમેદવારો મોટા દિગ્ગજોનું પત્તુ કાપી નાખશે? રાજકીય વર્તુળોમાં આ વાતની ભારે ચર્ચા ચાલી રહી છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર 794 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તેમના સિવાય રાષ્ટ્રીય પક્ષોના 204 અને રાજ્ય પક્ષોના 367 જેટલા ઉમેદવારો હતા. આ અપક્ષોની રાજકીય પહોંચ તો ઘણી ઓછી રહી હતી પરંતુ તેમની હાજરીએ મોટા પક્ષોનું રાજકીય સમીકરણ તોડી નાખ્યું હતું. કોંગ્રેસ અને ભાજપના 28 જેટલા ઉમેદવારોનો 258 મતના માર્જિનથી પરાજય થયો હતો, જ્યારે હાર માટે સૌથી વધુ મતોનું અંતર 27,226 હતું. ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો બીજા ક્રમે આવ્યા હતા જ્યારે કોંગ્રેસ કે ભાજપના ઉમેદવારો ત્રીજા ક્રમે આવ્યા હતા.
2017ની ચૂંટણીમાં અપક્ષોએ ખેલ બગાડ્યો હતો
ભારતીય ચૂંટણી પંચના આંકડા મુજબ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા 2017ની ચૂંટણીમાં 1981 મતોના માર્જિનથી હાર્યા હતા, બસપાના ઉમેદવારને 4259 મત મળ્યા હતા, જ્યારે 3408 લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું. ખેરાલુ બેઠક પર અપક્ષ ઉમેદવાર મુકેશ દેસાઈને 37,960 મત મળ્યા હતા, જે ભાજપના ઉમેદવાર કરતા 21,479 ઓછા હતા. તેમને કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર કરતા 15 મત વધુ મળ્યા હતા, જેના કારણે તેઓ બીજા ક્રમે આવ્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવા મતવિસ્તારમાં અપક્ષ ઉમેદવાર કનુભાઈ કલસરિયાને 39164 મત મળ્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિજય બારિયાને માત્ર 8,789 મત મળ્યા હતા.
2022ની ચૂંટણીમાં પણ અપક્ષો બગાડી શકે છે ભાજપ-કોંગ્રેસનું ગણિત
2017ની જેમ 2022ની ચૂંટણીમાં પણ ઘણા અપક્ષો મેદાનમાં છે. પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના પૂર્વ ડ્રાઈવર વિનોદ ચાવડા 2022ની ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી ધાનાણી સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમનો દાવો છે કે આ મત વિસ્તારમાં કોઈ પણ મોટી પાર્ટીએ ક્યારેય ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા નથી અને તેથી તેમણે ઓબીસી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
હર્ષદ વસાવા નાંદોદ બેઠક પરથી અપક્ષ લડી રહ્યાં છે
ભાજપના એસટી સેલના પ્રમુખ હર્ષદ વસાવાએ પદ પરથી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને નાંદોદ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. વસાવા બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. નર્મદા જિલ્લાના ભાજપના મહામંત્રી વિક્રમ તડવીનું માનવું છે કે પક્ષના પ્રતીક કે પક્ષના કેડર વિના ભાગ્યે જ કોઈ ફરક પડે છે. તડવીનું માનવું છે કે ઉમેદવારની ચૂંટણી કિંમત વ્યક્તિગત રીતે નહીં પણ પક્ષને કારણે હોય છે અને હર્ષદ વસાવા ભાજપના ઉમેદવારની તકોને નુકસાન પહોંચાડશે નહીં.
જુનાગઢની કેશોદ બેઠક પર અપક્ષ તરીકે અરવિંદ લાડાણી
જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ લાડાણી પક્ષની કમિટેડ વોટબેન્કને ખાડે નહીં કે પાટીદારોને પ્રભાવિત કરી શકે નહીં તેવો પક્ષને વિશ્વાસ છે. ભાજપ જૂનાગઢ જિલ્લા સમિતિના મહામંત્રી વિજયકુમાર કારદાણીએ જણાવ્યું હતું કે, તેઓ વધુમાં વધુ ફ્લોટિંગ મતોનું વિભાજન કરી શકે છે.
વાંકાનેર બેઠકનું ઉદાહરણ સમજવા જેવું
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે કહ્યું કે રાજકીય પક્ષો મતોનું વિભાજન કરવા અને વિરોધીઓની સંભાવનાઓને નુકસાન પહોંચાડવા માટે પ્રભાવશાળી જાતિના અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે. આચાર્યએ 2017ની ચૂંટણીનું ઉદાહરણ આપતા કહ્યું કે, "વાંકાનેર બેઠક પર કોંગ્રેસના પીરઝાદા મોહમ્મદ જાવેદ 1248 મતોથી ચૂંટણી જીત્યા હતા. આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે અને અપક્ષ કોળી ઉમેદવાર ગોરધન સરવૈયાને 25,413 મત મળ્યા હતા. જો તેમને 1500થી 2000 વોટ વધારે મળ્યા હોત તો ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર સોમાણી જીતી જાત અથવા ગોરધન મેદાનમાં ના હોત તો કોંગ્રેસના ઉમેદવાર મોટા અંતરથી જીતી જાત.
અપક્ષો ઉમેદવારોનું ભાવી બદલી શકે છે- નિષ્ણાંતોનો મત
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, એક પછી એક ચૂંટણીઓમાં એવું જોવા મળ્યું છે કે, નજીકની હરીફાઈમાં અપક્ષ ઉમેદવાર કે ત્રીજા પક્ષના ઉમેદવાર ખાસ કરીને જો કોઈ પ્રભાવશાળી જ્ઞાતિના હોય તો તેના પરિણામ પર અસર પડે છે અને ઉમેદવારોનું ભાવિ બદલાઈ શકે છે.