ભાજપે અમદાવાદમાં યોજાયેલી ભાજપ અને AIMIMની ગુપ્ત બેઠકની વાતને રદિયો આપતા કહ્યું કે, 'પ્રજાના કામ માટે બોલાવ્યા હતા.' શહેરના આસ્ટોડિયા સ્થિત AIMIM ઓફિસ ખાતે મેયર કિરીટ પરમાર અને ધર્મેન્દ્ર શાહ વચ્ચે બેઠક યોજાઇ હતી. ત્યારે ભાજપ-AIMIMની આ બેઠકને લઇને અનેક તર્ક-વિતર્કો શરૂ થઇ ગયા છે.
ચૂંટણી પહેલા અમે પ્રજાના કામ માટે મળ્યા હતા: મેયર
જોકે આ વાતને અમદાવાદના મેયરે નકારી કાઢી હતી. અમદાવાદના મેયર કિરીટ પરમારે ભાજપ અને AIMIM વચ્ચે યોજાયેલી ગુપ્ત બેઠકને લઇ નિવેદન આપતા કહ્યું કે, 'AIMIMની ઓફીસ પર કોઈ જ બેઠક નથી થઈ. આ ફોટો દાણીલીમડા ટ્રીટમેન્ટ પ્લાન્ટના છે. 166 કરોડના પ્રોજેક્ટ માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મળ્યા હતા. ચૂંટણી પહેલા પ્રજાના કામ માટે અમે મળ્યા હતા. આ બેઠકને ખોટી રીતે રજૂ કરીને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. એસોસિએશન દ્વારા કાબલીવાલાને બોલવામાં આવ્યા હતા. ભાજપની કોઈ B ટીમ નથી.'
AAP અને કોંગ્રેસની આ મીલીભગત છે: સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન
તો ભાજપ અને AIMIMની આ ગુપ્ત બેઠકને લઇ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે પણ નિવેદન આપતા જણાવ્યું કે, 'AAP અને કોંગ્રેસની મીલીભગત છે. ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે.'
આ શું ચાલી રહ્યું છે?: મનીષ સિસોદિયા
અમદાવાદના મેયર કિરીટ પરમાર અને AIMIM વચ્ચે અમદાવાદમાં યોજાયેલી બેઠકને લઇને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ ધારદાર સવાલ કરતા ટ્વિટ કરીને પૂછ્યું કે, 'આ શું ચાલી રહ્યું છે? ભાજપ અને AIMIM વચ્ચે ગુપ્ત બેઠક? ભાજપે દેશને જણાવવું જોઈએ કે બંને વચ્ચે શું ડીલ થઈ હતી?'
બેઠક થઈ છે પણ ચૂંટણીલક્ષી નહીં: સબીર કાબલીવાલા
ભાજપ અને AIMIMની આ ગુપ્ત બેઠક મામલે VTV સાથે સબીર કાબલીવાલાએ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેઓએ VTVને જણાવ્યું કે, 'બેઠક થઈ છે પણ ચૂંટણીલક્ષી નહીં. CETP પ્રોજેક્ટને લઈ ચર્ચા થઈ છે. ચૂંટણી પહેલા પ્રોજેક્ટ પૂર્ણ થાય તે અંગે ચર્ચા થઈ છે. હું પ્રેસ કોન્ફરન્સ બોલાવી આક્ષેપોના જવાબ આપીશ.' જોકે બેઠકમાં ચૂંટણીલક્ષી ચર્ચા થયાની વાત સબીર કાબલીવાલાએ ફગાવી દીધી.