કોંગ્રેસના આરોપ : જેમના માટે કાર્યક્રમ છે તેમનો આમંત્રણ પત્રિકામાં ફોટો પણ નથી, ભાજપનો જવાબ : ઝવેરચંદ મેઘાણી ભાજપ કે કોંગ્રેસ પક્ષના ન હતાં
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને
સરકારને ઝવેરચંદ મેઘાણીની સાચી જન્મની તારીખ પણ ખબર નથી: કોગ્રેંસ
આવા વિવિદો ઉભા કરવા તે કોંગ્રેસની ખાસિયત છે: ભાજપ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના 125મી જન્મજયંતી ઉજવણી અંગે ભારતીય કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરતાં ઝાંટકણી કાઢી હતી
આમંત્રણ પત્રમાં ફોટો નથી, તારીખ પણ ખોટી છે: કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યુ હતું કે ભાજપ સરકારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ તમામ કાર્યક્રમના મુખ્ય આમંત્રણ પત્રમાં ઝવેરચંદ મેઘાણીનો કોઈ ફોટો જ નથી. આ સાથે તેઓએ સરકાર પર વધુ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો.9ના ગુજરાતી વિષયના પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ 28મી ઓગસ્ટના બદલે 17મી ઓગસ્ટ છાપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ઉજવણીના નામે ફોટો ફંક્શન કરવાને બદલે તેમાનાથી થયેલી ક્ષતિઓ સુધારે તેમણે વઘુમાં ઉમેર્યુ હતું કે, આ બેદરકારી નથી પરંતુ ગુનાઈત બેદરકારી છે. રાજ્ય સરકાર તાત્કાલિત આ મામલે ધો.9ના ગુજરાતી વિષયના પાઠ્ય પુસ્તકની ભૂલ સુધારે.
વિવાદો ઉભા કરવાની કોંગ્રેસ પાર્ટીની ખાસિયત: નીતિન પટેલ
કોંગ્રેસ પ્રવકતાના આવા આક્ષેપો સામે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ પ્રકારના વિવાદો ઉભા કરવાની કોંગ્રેસ પાર્ટીની ખાસિયત છે. તેમણે વઘુમાં ઉમેર્યું હતું કે, ઝવેરચંદ મેઘાણી ભાજપ કે કોંગ્રેસ પક્ષના ન હતાં, તે આપણાં સૌના હતાં. ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરૂદ આપ્યું હતું. ભૂતકાળની પેઢી, અત્યારની પેઢી અને આવનારી પેઢીઓ હંમેશા ઝવેરચંદ મેઘાણીને યાદ રાખશે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની ઉજવણી કરતી હોય ત્યારે ત્યારે આ પ્રકારનો કોઈ વિવાદો ઉભા કરવા એ યોગ્ય નથી. તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, હું કોંગ્રેસને આમંત્રણ આપુ છું. તે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીના કાર્યક્રમમોમાં સામેલ થાઓ, આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોગ્રેંસે પણ આ પ્રકારના કાર્યક્રમો કરવા જોઈએ. ખોટા વિવાદો ઊભા કરવાનો કોઈ મતલબ નથી