છત્તીસગઢથી ભારતીય જનતા પાર્ટી માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આખા રાજ્યમાં કોંગ્રેસની લહેરમાં કમળના સૂપડા સાફ થઈ ગયા છે.
છત્તીસગઢમાં સરકારના ત્રણ વર્ષ બાદ પણ જોરદાર કોંગ્રેસની લહેર
15માંથી 14 સ્થાનિક નગર નિગમોમાં કોંગ્રેસની જીત
ચાર શહેરોમાં કોંગ્રેસનાં મેયર, ભાજપના હાથમાં ખાલી એક નપા આવી
પ્રચંડ જીત બાદ સીએમ ભૂપેશે કહ્યું, લોકોનો અમારા પર ભરોસો છે
છત્તીસગઢમાં પંજાનું રાજ
છત્તીસગઢ રાજ્યમાં હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંગ્રામ થયો હતો જેના પરિણામો સામે આવી ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનાં નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને પ્રચંડ જીત મળી ગઈ છે. 14 નપા અને મનપામાં પંજાનું રાજ ચાલશે જ્યાં માત્ર એક જ નપામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. 2018માં આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઇ હતી જે બાદ આજે ફરી કોંગ્રેસે પોતાનો જલવો બતાવ્યો છે. વિધાનસભામાં 90 માંથી 70 બેઠક કોંગ્રેસનાં હાથમાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના કમળ કરમાયા
આખા રાજ્યમાં કોંગ્રેસની આંધીનાં કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભાજપના નેતાઓને આશા નહોતી કે આવી ખરાબ હાલત થઈ જશે. અંદરોઅંદર નેતાઓમાં ખળભળાટ મચ્યો છે અને બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીનો કોંગ્રેસની અંડર દબદબો વધ્યો છે.
જે રાજ્યમાં સતત 15 વર્ષ રાજ્ય કર્યું તે જ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની હાલત ખરાબ થઈ રહી છે. એવામાં વર્ષ 2023માં વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની સમસ્યાઓ અત્યારથી વધશે તેવી પૂરી શક્યતા છે.
કોલકાતામાં પણ ભયંકર હાર થઈ
નોંધનીય છે કે હાલમાં જ કોલકાતા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હાર થઈ હતી. KMCમાં મમતા બેનર્જીની પાર્ટીની પ્રચંડ જીત થઈ હતી અને ભાજપને માંડ માંડ વેઢા પર ગણી શકાય તેટલી બેઠકો જ મળી. એવામાં છત્તીસગઢનાં પરિણામો ભાજપ માટે દાઝ્યા પર ડામનું કામ કરશે.