ખાડાઓને લઈને જૂનાગઢ બદનામ થઈ રહ્યુ છે. જૂનાગઢના ખાડાઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ ખાડાઓનું પૂજન કરીને કોંગ્રેસે વિરોધ કર્યો હતો. તો આવા ખાડાઓના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તેવામાં હવે જૂનાગઢના ભાજપના કાર્યકરે ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફોન કરીને ફરિયાદ કરી હતી.
જૂનાગઢ ભાજપના કાર્યકર્તાએ સી.આર.પાટીલને કર્યો ફોન
જૂનાગઢમાં રસ્તાઓની હાલત પર કર્યો હતો ફોન
22 દિવસમાં ગટર લાઇન નખાઇ જશે અને રોડ પણ બની જશે: પાટીલ
જૂનાગઢના બિસ્માર રસ્તાને લઈને ભાજપના એક કાર્યકરે સી.આર.પાટીલને રાત્રે 12:30 કલાકે ફોન કરીને રજૂઆત કરી હતી. કોંગ્રેસના કાર્યકરો રોડ બાબતે કટાક્ષો કરતા કાર્યકરે ફરિયાદ કરી હતી. સી.આર.પાટીલે કાર્યકરની ફરિયાદ સાંભળી આશ્વાસન આપ્યું હતું.
ભાજપના કાર્યકરે કહ્યું સાહેબ હું જૂનાગઢથી નાનો કાર્યકર બોલું છું, હવે રસ્તાનું કંઈક કરો. કોંગ્રેસવાળા હવે રસ્તાને લઈને બહુ હેરાન કરે છે. પાટીલે કહ્યું વરસાદ બંધ થશે એટલે રસ્તા નવા બની જશે. હું કમિશનર સાથે વાત કરી લઉ છું. ગટર લાઇન નાખવાની બાકી હતી, 22 દિવસમાં લાઇન નખાઇ જશે અને રોડ પણ બની જશે. બાદમાં કાર્યકર કહે છે પાટીલ સાહેબ તાત્કાલિક 10-15 ટેક્ટર નખાવવાની જરૂર છે. પાટીલે કહ્યું હું કઇ દઉ છું.
બીજી તરફ જૂનાગઢમાં VTVના અભિયાન બાદ લોકોમાં જાગૃતિ સામે આવી છે. ખરાબ રોડ મુદ્દે લોકો મ્યુનિસિપલ કમિશનર સામે ફરિયાદ કરી રહ્યા છે. એક વ્યક્તિને ઈજા પહોંચતા સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ કરાઈ છે. ખાડાના કારણે ફરિયાદીનું વાહન સ્લીપ થયું હતું. વાહન સ્લીપ થતાં ફરિયાદીને ઈજા થઈ હતી. આથી ફરિયાદી તંત્ર સામે લાચાર રહેવાને બદલે અવાજ ઉઠાવ્યો છે.
રાજ્યમાં વરસાદ આવે કે તરત ખાડા પડી જાય છે. માર્ગ અને રસ્તાઓમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય છે. દરવર્ષે વરસાદમાં રસ્તાઓ ખાડામાં પરિવર્તિત થઈ જાય છે. નેતાઓ અને કોન્ટ્રાક્ટરોએ રસ્તાના નામે પેટ તો ભરી લીધા પણ હવે પેટનો દુઃખાવો પ્રજાને થઈ રહ્યો છે. કારણ કે ન તો કોન્ટ્રાક્ટરોને આ માર્ગ પર આવવું પડે છે કે ન તો નેતાઓને. નેતાઓના ઘર પાસે તો સાફ સુથરા અને સારા માર્ગો હોય છે. પણ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં વાહન લઈને જવું મુશ્કેલ થઈ જાય છે. જૂનાગઢના કેટલાક વિસ્તારમાં એટલા ખાડા પડી ગયા છે કે વાહનો ડાન્સ કરી રહ્યા છે. તંત્રના વાંકે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે.