કોરોના વાયરસના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પર ખૂબ માઠી અસર પડી છે. ભારતનું અર્થતંત્ર કોરોનાકાળ પહેલાથી જ ધીમું પડી ગયું હતું અને એવામાં કોરોના અને લોકડાઉને આગમાં ઘી હોમી દીધું હોય તેમ અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો છે. દુનિયાભરની એજન્સીઓએ ભારતની જીડીપીમાં આશરે 9 ટકા સુધી ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે.
ભારતમાં કોરોનાકાળમાં અર્થવ્યવસ્થાને મોટા નુકસાનની આશંકા
લોકડાઉનના કારણે ભારતનું અર્થતંત્ર ખોરંભે : રાજીવ બજાજ
આપણે આઝાદી પછી સૌથી ઓછી જીડીપી જોઈશું : નારાયણમૂર્તિ
ભારત સરકાર અર્થતંત્રને બેઠું કરવા માટે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પેકેજ અને અન્ય રાહતો આપી રહી છે છતાં કારોબારી જગટનાં લોકો આર્થિક સંકટ લંબાશે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આટલું જ નહીં એન. નારાયણમૂર્તિથી લઈને મુકેશ અંબાણી સુધીના બિઝનેસ જગતના માંધતાઓનું પણ કહેવું છે કે આ હજુ લાંબુ ખેંચાશે. આર્થિક મંદી માટે લોકડાઉનને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.
લોકડાઉન કોરોના ના ગયો પણ જીડીપી પડી ગઈ : બજાજ
બજાજ ગ્રુપનાં રાજીવ બજાજે કહ્યું કે ભારતમાં કડક લોકડાઉન કારણે અર્થતંત્ર ખોરંભે ચડી ગયું. તેમણે કહ્યું કે કોરોના સંકટનો સામનો કરવા માટે ભારતે પશ્ચિમી દેશોને જોઇને કડક લોકડાઉન લગાવી દીધું તેનાથી કોરોના વાયરસ તો રોકાયો નહીં પણ જીડીપી તો પડી ગઈ અને અર્થતંત્ર ચોપટ થઇ ગયું.
બિરલા ગ્રુપનાં ચેરમેન કુમાર મંગલમ બિરલાનું કહેવું છે કે કોરોના મહામારીનો સામનો કરવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે 2021માં ભારતની જીડીપીમાં જોરદાર ઘટાડો આવશે. જો મહામારીમાં બીજી લહેર ન આવે તો આ મંદી થોડા સમય સુધી રહેવાની આશંકા છે જોકે અનિશ્ચિતતાઓના વાદળોને જોતા કોઈ પણ સમય કહેવો સરળ નથી.
1947 પછીની સૌથી ઓછી જીડીપી જોઈશું : નારાયણમૂર્તિ
ઈન્ફોસીસના સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિએ આશંકા વ્યક્ત કરી કે દેશની જીડીપી આઝાદી બાદની સૌથી ખરાબ પરિસ્થિતિમાં પહોંચી શકે છે. મૂર્તિએ થોડા સમય પહેલા એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ભારતની જીડીપીમાં 5 ટકાનો ઘટાડો થશે. એવી આશંકા છે કે આપણે 1947 પછીની સૌથી ઓછી જીડીપી જોઈશું.
આધુનિક ઈતિહાસની સૌથી વિનાશકારી ઘટના છે કોરોના : અંબાણી
રિલાયન્સ ગ્રુપનાં માલિક મુકેશ અંબાણીએ પણ કોરોના કાળ હજુ લાંબો ખેંચાશે તેવી આશંકા વ્યક્ત કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે કોરોના વાયરસ આધુનિક ઈતિહાસની સૌથી વિનાશકારી ઘટના છે. સ્વાસ્થ્ય સંકટની સાથે સાથે આર્થિક સંકટ પણ છે અને મહામારી સામે લડવા માટે વૈશ્વિક સ્તર પર એક સહકારી અને સહયોગી પ્રયત્નની આવશ્યકતા છે.