અલર્ટ /
8 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂ વચ્ચે ગુજરાતમાંથી આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, સરકારે કરી આ સ્પષ્ટતા
Team VTV06:10 PM, 05 Jan 21
| Updated: 06:17 PM, 05 Jan 21
કોરોના વેક્સિન આવવાની રાહત વચ્ચે એક નવું સંકટ ઘેરાતું જઇ રહ્યું છે. દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાઇ ગયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હિમાચલ અને કેરળ સુધી બર્ડ ફ્લૂથી હડકંપ મચી ગયો છે જેને જોતા રાજ્ય સરકારોએ અલર્ટ જાહેર કર્યું છે. કેરળે તો આને રાજકીય સંકટ જાહેર કરી દીધું છે. જોકે ગુજરાત માટે એક રાહતના સમાચાર આવ્યા છે.
દેશમાં મંડરાઈ રહ્યો છે બર્ડ ફ્લૂનો ખતરો
ગુજરાતના જૂનાગઢમાં પણ 53 પક્ષીના મૃત્યુ થયા હતા
ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એકપણ કેસ નહીંઃ પશુપાલન વિભાગ
કોરોના મહામારીના તાંડવ વચ્ચે હવે બર્ડ ફ્લૂનો કેર શરૂ થયો છે. દેશના 8 રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે. ત્યારબાદ હવે ગુજરાતમાં પણ સંખ્યાબંધ મૃત પક્ષીઓ મળી આવ્યા હતા. જેને લઇને હવે રાજ્ય સરકારે એપેડેમિક સેલની તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલે રાજ્યના તમામ DDO-કલેક્ટર સાથે બેઠક મળશે. તેવામાં હવે રાજ્યમાં મૃત્યુ પામેલા પક્ષીઓની તપાસ બાદ આ પક્ષીઓ બર્ડ ફ્લૂના કારણે મૃત્યુ ન પામ્યા હોવાની માહિતી આવી છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ પાસે ટીટોડી, બગલી, બતક, નકટો સહિતના 53 પક્ષીઓનાં મૃત્યુ થયા હતા. આ મૃત્યુ બર્ડ ફ્લૂથી થયાં છે કે નહીં એ ચકાસવા માટે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી અપાયા હતા. જોકે આ અંગે હવે ગુજરાત માટે એક રાહતના સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુજરાતમાં હજુ સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નથી. આ પક્ષીઓ બર્ડ ફ્લૂના કારણે મૃત્યુ નથી પામ્યાં. માણાવદરમાં પક્ષીઓના થયેલા મૃત્યુ ફૂડ પોઇઝનિંગના કારણે થયા હોવાની પુષ્ટી થઇ છે. મહત્વનું છે કે, માણાવદરમાં 50થી વધુ પક્ષીઓના શંકાસ્પદ રીતે મૃત્યુ થયા હતા. જોકે હજુ પણ બર્ડ ફ્લૂ અંગે સરકાર અલર્ટ છે.
દેશના 8 રાજ્યમાં બર્ડ ફ્લૂ ફેલાયો
દેશમાં વિવિધ રાજ્યમાં પક્ષીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે બર્ડ ફ્લૂની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગો પણ અલર્ટ થઈ ગયા છે. તાજેતરમાં હિમાચલપ્રદેશના પોંગ ડેમમાં 1400થી વધુ પ્રવાસી પક્ષીના મૃત્યુ થયા હતા. કાંગડા જિલ્લા તંત્રએ પોંગ જળાશયમાં તમામ ગતિવિધિ પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો અને મૃત્યુનું કારણ શોધવા ભોપાલની લેબમાં સેમ્પલ મોકલી આપ્યા હતા. બીજી તરફ મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોલેજ પરિસરમાં 100થી વદુ કાગડાના મૃત્યુ થયા હતા. જેમાં તપાસ દરમિયાન 2 કાગડામાં H5N8વાયરસ મળ્યો હતો. આ તરફ રાજસ્થાનમાં પણ જયપુર સહિત 7 જિલ્લામાં 135 કાગડાના મૃત્યુ થયા છે. જે બાદ ગેહલોત સરાકરે પક્ષીના મૃત્યુની તપાસ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.
માનવી માટે ખતરનાક છે બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહી પરંતુ પશુઓ અને માણસમાં પણ ફેલાય છે. બર્ડ ફ્લૂનો જો સમયસર ઇલાજ ન થાય તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. બર્ડ ફ્લૂ આમ તો અનેક પ્રકાર છે પરંતુ (H5N1) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત વ્યક્તિ સંક્રમિત થઇ હતી. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, લાળ અને આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે.
બર્ડ ફ્લૂનું સૌથી વધુ જોખમ કોને?
મરઘા પાલનનો વ્યવસાય કરતા લોકો બર્ડ ફ્લૂથી સૌથી વધુ સંક્રમિત થઇ શકે છે. કાચું કે અડધુ પાકેલું ઇંડુ ખાવાથી આ ફ્લૂના સંક્રમણનો ભય રહે છે. સંક્રમિત પક્ષીના વિસ્તારમાં જવાથી પણ સંક્રમણનું જોખમ રહે છે. બર્ડ ફ્લૂના લક્ષણો પણ કોવિડ-19ની જેમ સમાન હોવાથી બર્ડ ફલૂને પારખવો મુશ્કેલ થઇ જાય છે.
બર્ડ ફ્લૂના શું છે લક્ષણો?
બર્ડ ફ્લૂના લક્ષણોમાં ગળામાં ખરાશ, નાક બંધ થઇ જવું, થાક લાગવો, ઠંડી લાગવી, તાવ આવવો, સાંધામાં દુખાવો થવો અને છાતીમાં દુઃખાવો થવો છે. જો કોઇને આ પ્રકારના લક્ષણો જણાય તો સાવચેત થઇને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી.
બર્ડ ફ્લૂથી કઇ રીતે બચી શકાય?
હાલ બર્ડ ફ્લૂનું સંક્રમણ કેટલાક રાજ્યોમાં જણાઇ રહ્યું છે ત્યારે આગમચેતી પગલારૂપે ચિકન ઇંડા ખાવાનું બંધ કરવું, વારંવાર હાથ ધોતા રહેવું, પક્ષીઓથી દૂર રહેવું, જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય તે સ્થાનથી દૂર રહેવું અને ઇન્ફ્લૂએન્ઝાની વેક્સિન લગાવવા માટે તબીબની સલાહ લેવી.