હજુ કોરોના રહી રહીને ઉથલા મારી રહ્યો છે ત્યારે ફરીથી બર્ડ ફ્લૂએ ઉથલો માર્યો છે.
અમદાવાદ જિલ્લામાં બર્ડ ફલૂની એન્ટ્રી
સોલા વિસ્તારમાં બર્ડ ફલૂનો કેસ નોંધાયો
બર્ડ ફ્લૂના કેસથી સમગ્ર વિસ્તારમાં દહેશત
અમદાવાદ જિલ્લામાં બર્ડ ફલૂની એન્ટ્રી થઈ છે. સોલા વિસ્તારમાં બર્ડ ફલૂનો કેસ નોંધાયો છે. બર્ડ ફ્લૂના કેસથી સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ છે. સોલા ખાતેના મરઘા ફાર્મમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ કલેક્ટરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે અને સોલાના 10 કિમી વિસ્તારમાં ઇંડા, પક્ષી વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માનવી માટે ખતરનાક છે બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહી પરંતુ પશુઓ અને માણસમાં પણ ફેલાય છે. બર્ડ ફ્લૂનો જો સમયસર ઇલાજ ન થાય તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. બર્ડ ફ્લૂ આમ તો અનેક પ્રકાર છે પરંતુ (H5N1) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત વ્યક્તિ સંક્રમિત થઇ હતી. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, લાળ અને આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે.
બર્ડ ફ્લૂનું સૌથી વધુ જોખમ કોને?
મરઘા પાલનનો વ્યવસાય કરતા લોકો બર્ડ ફ્લૂથી સૌથી વધુ સંક્રમિત થઇ શકે છે. કાચું કે અડધુ પાકેલું ઇંડુ ખાવાથી આ ફ્લૂના સંક્રમણનો ભય રહે છે. સંક્રમિત પક્ષીના વિસ્તારમાં જવાથી પણ સંક્રમણનું જોખમ રહે છે. બર્ડ ફ્લૂના લક્ષણો પણ કોવિડ-19ની જેમ સમાન હોવાથી બર્ડ ફલૂને પારખવો મુશ્કેલ થઇ જાય છે.
બર્ડ ફ્લૂના શું છે લક્ષણો?
બર્ડ ફ્લૂના લક્ષણોમાં ગળામાં ખરાશ, નાક બંધ થઇ જવું, થાક લાગવો, ઠંડી લાગવી, તાવ આવવો, સાંધામાં દુખાવો થવો અને છાતીમાં દુઃખાવો થવો છે. જો કોઇને આ પ્રકારના લક્ષણો જણાય તો સાવચેત થઇને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી.
બર્ડ ફ્લૂથી કઇ રીતે બચી શકાય?
હાલ બર્ડ ફ્લૂનું સંક્રમણ કેટલાક રાજ્યોમાં જણાઇ રહ્યું છે ત્યારે આગમચેતી પગલારૂપે ચિકન ઇંડા ખાવાનું બંધ કરવું, વારંવાર હાથ ધોતા રહેવું, પક્ષીઓથી દૂર રહેવું, જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય તે સ્થાનથી દૂર રહેવું અને ઇન્ફ્લૂએન્ઝાની વેક્સિન લગાવવા માટે તબીબની સલાહ લેવી.