કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ ચિંતા વધારી છે. જો કે, હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂએ પગ પેસારો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
રાજ્યમા બર્ડ ફ્લુનો પ્રથમ કેસ સામે આવ્યો
બાંટવા માણવદરમાં મૃત્યુ પામેલા પક્ષીમાં બર્ડ ફ્લુ જોવા મળ્યો
પક્ષીના સેમ્પલ મધ્યપ્રદેશ ખાતે મોકલવામા આવ્યા હતા
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, બાંટવા માણવદરમાં મૃત્યુ પામેલા પક્ષીઓના સેમ્પલ મધ્યપ્રદેશ ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમ નજીક 46 ટીટોડી, 3 બગલી સહિત કુલ 53 જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવતા તંત્ર તાત્કાલિક અસરથી હરકતમાં આવી ગયું હતું.
રાજ્યના બર્ડ અભ્યારણ્ય કરાયા બંધ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સત્તાવાર રીતે બર્ડ ફ્લૂની એન્ટ્રી થઇ ચૂકી છે ત્યારે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને રાજ્યના તમામ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયા છે. સરકારે લીધેલ નિર્ણય પ્રમાણે, નળ સરોવર, થોળનું પક્ષી અભયારણ્ય, ખીજડીયા અને ઘુડખર પક્ષી અભયારણ્ય, વઢવાણનું વેટલેન્ડ અને પોરબંદરનુ પક્ષી અભ્યારણ્ય બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
દેશના 8 રાજ્યોમાં ફેલાયો છે બર્ડ ફ્લૂ
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિત કુલ 8 રાજ્યોમાં આ વાયરસને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાયરસ પક્ષીઓ માટે ખૂબજ ખતનાક સાબિત થઇ રહ્યો છે.
માનવી માટે ખતરનાક
બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.
બર્ડ ફ્લૂમાં WHOની સલાહ શું?
મનુષ્યોને પક્ષીઓ જેટલો બર્ડ ફ્લૂનો ખતરો નથી
સંક્રમિત પશુ-પક્ષીના નજીકના સંપર્કમાં આવનારને બર્ડ ફ્લૂ થઈ શકે છે
કાચા ઈંડા ખાનારા લોકોને પણ સંક્રમણ ખતરો વધી જાય છે
WHOના કહેવા પ્રમાણે સારી રીતે ઈંડા પકવીને ખાનારાને બર્ડ ફ્લૂનો ખતરો નથી
WHOના સંશોધન પ્રમાણે ઈંડાને 70 ડિગ્રી પર પકાવીને જ ખાવા જોઈએ
વાયરસ સંક્રમિત પક્ષીઓના ઝુંડ દ્વારા ફૂડ ચેનમાં પ્રવેશ્યો છે તો ઈંડા ન ખાવા જોઈએ
1997માં પહેલીવાર ભારતમાં બર્ડ ફ્લૂના શિકાર લોકો થયા હતા
શેનાથી ફેલાય છે ?
એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસ બર્ડ ફ્લૂના નામથી જાણીતો છે. આ ખતરનાક વાયરસ પક્ષીઓને અધિક પ્રભાવિત કરે છે. ખાસ કરીને મરઘાં-મરઘીઓ અને અન્ય પક્ષીઓ તેનો શિકાર ઝડપથી બને છે. તેની અસરથી પક્ષીઓ અને માણસો મોતને ભેટી શકે છે. WHOના આંકડા અનુસાર 2003 પછી બર્ડ ફ્લૂની બિમારીથી 332 લોકોના મોત નીપજ્યા છે. તો WHO ના એક રિસર્ચ અનુસાર H5N1 વાયરસ પર જો કાબૂ ન કરી શકાય તો ભયંકર રોગચાળો ફેલાઈ શકે છે.
ચિંતાનો વિષય
ભારતમાં 5 ડિસેમ્બર 2016થી એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે અને તેની જાણકારી વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠનને પણ કરવામાં આવી છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ફરીથી H5N1 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.
બર્ડ ફ્લૂના લક્ષણો અને બચવાના ઉપાયો જાણો Ek Vaat Kauમાં...